સુરતમાં રોગચાળો બેકાબુ બન્યો, ડેન્ગ્યુમાં નવ પરિણીતા સહિત ચાર વ્યક્તિના મોત

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News
સુરતમાં રોગચાળો બેકાબુ બન્યો,  ડેન્ગ્યુમાં નવ પરિણીતા સહિત ચાર વ્યક્તિના મોત 1 - image


- ગોડાદરામાં ઝાડા -ઉલટી  બાદ યુવાન, વરાછામાં તાવ આવ્યા બાદ યુવાન અને લસકાણામાં ઉલટી થયા બાદ યુવાન મોતને ભેટયા

સુરત, :

ચોમાસાની મોસમમાં વરસાદના લીધે સુરત સહિતના વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય એટલે કે ઝાડા ઉલટી, મલેરિયા, ડેન્ગ્યુ, તાવ, કોલેરા, કમળો જેવી બીમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેવા સમયે કાપોદ્રામાં ડેન્ગ્યુની અસર થયા બાદ નવ પરિણીતા, ગોડાદરામાં ઝાડા ઉલટી થયા બાદ યુવાન, વરાછામાં તાવ આવ્યા બાદ યુવાન અને સરથાણામાં ઉલટી થયા બાદ યુવાનનું મોત થયું હતુ.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ કોપોદ્રા રામકૃષ્ણ કોલોનીમાં રહેતી ૨૦ વર્ષની સંગીતા ચંદનભાઇ બહેરાને ૬ દિવસ પહેલા તાવ આવ્યો હતો. જેથી તેને સારવાર માટે દવાખાનામાં લઇ ગયા હતા. શનિવારે ફરી તેની તબિયત બગડતા ડોકટર પાસે ગયા હતા. ત્યાં તેને ડેન્ગ્યુની અસર હોવાનું જાણવા મળ્યું હતુ. ગત સાંજે તેની તબિયત વધુ લથડતા બેભાન થઇ જતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઇ ગયા હતા. જયાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. તે મૂળ ઓરીસ્સાના ગંજામની વતની હતી. તેના લગ્ન ચાર માસ પહેલા થયા હતા. તેના પતિ એમ્બ્રોઇડરી ખાતામાં કામ કરે છે. બીજા બનાવમમાં વરાછા અશ્વનિકુમાર રોડ ભવાની સર્કલ પાસે રહેતો ૨૧ વર્ષનો કિષ્ણા અમરીતલાલ કુસ્વાહને બે દિવસથી તાવ આવતો હતો. ગત સાંજે કાપોદ્રા બંમ્બા ગેટ પાસે પગપાળો પસાર થતો હતો. ત્યારે તેની અચાનક તબિયત બગડી હોવાથી બેભાન થઇ જતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. તે મૂળ મધ્યપ્રદેસમાં મોરનાનો વતની હતો. તેના ૩ ભાઇ છે. ખાનગી કંપનીમાં કામ કરતો હતો.

ત્રીજા બનાવમાં ગોડાદરા ગણેશનગરમાં રહેતો ૨૯ વર્ષનો વૃશણ બંસીલાલ કોળીને આજે વહેલી સવારે ઘરમાં ઉલટી થયા બાદ ઝાડા થયા હતા. ત્યારબાદ તેની હાલત ગંભીર થતા ઢળી પડતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઇ ગયા હતા. જયાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. તે મહાષ્ટ્રમાં જલગાંવનો વતની હતો. તે છુટક મજુરી કામ કરતો હતો. તેનો એક ભાઇ છે. ચોથા બનાવમાં સરથાણાના લસકાણામાં ડાયમંડ નગરમાં કળથીયા ઇન્ડસ્ટ્રીઝ ખાતે રહેતો ૨૨ વર્ષનો સુનિલ દિનેશકુમાર મિશ્રાને ગત સવારે ઘરમાં પેટમાં દુઃખાવો ઉપડયો હતો. બાદમાં તેને ઉલટી થતા તબિયત વધુ બગડતા સારવાર માટે કામરેજની હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. તે મૂળ ઉત્તપ્રદેશનો વતની હતો. તે સંચાખાતામાં કામ કરતો હતો.

નોધનીય છે કે, શહેરમાં ઝાડા ઉલટી, ડેન્ગ્યુ, મલેરિયા, કોલેરા, તાવ, શરદી, ખાંસી સહિતની બીમારીમાં લોકો વધુ સપડાય રહ્યા છે. જેને લીધે નવી સિવિલમાં આ બીમારીની સારવાર માટે આવતા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.


Google NewsGoogle News