સુરેન્દ્રનગરમાં પિતા-પુત્રના એન્કાઉન્ટરનો કેસ: 7 પોલીસકર્મી સામે ફરિયાદ નોંધવા કોર્ટનો આદેશ
Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના ગેડિયા ગામે વર્ષ 2021માં પિતા-પુત્રના ચકચારી એન્કાઉન્ટર કેસમાં ચાર વર્ષ બાદ આખરે પોલીસ દોષિત સાબિત થઈ છે. હનીફ ખાન અને તેના 14 વર્ષીય પુત્ર મદીમખાનનું એન્કાઉન્ટર કરનાર બજાણા પોલીસ સ્ટેશનના PSI વીરેન્દ્રસિંહ જાડેજા સહિત 7 પોલીસકર્મીઓ પર પોલીસ ફરિયાદ દાખલ કરવા ધ્રાંગધ્રા કોર્ટે આદેશ કર્યો છે. પીડિત પરિવાર છેલ્લા 4 વર્ષ સુધી કોર્ટના અને પોલીસ મથકના ધક્કા ખાઈ થાક્યો હતો.
કોર્ટના આદેશ બાદ એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલાના પરિવારજનોએ જણાવ્યું હતું કે, અમને ન્યાય તંત્ર પર વિશ્વાસ છે. મૃતકની દીકરીએ જણાવ્યું હતું કે, મારા પિતા અને ભાઈને મોતને ઘાટ ઉતારનાર પોલીસ પર કડક કાર્યવાહી સજા કોર્ટ કરશે.
શું છે સમગ્ર કેસ?
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા પાટડીના ગેડિયા ગામમાં વર્ષ 2021માં ચકચારી એન્કાઉન્ટરમાં ગુજસીટોકના આરોપી મૃતક હનીફ ખાન ઉર્ફે કાળો મુન્નો સામે કુલ 86 ગુના નોંધાયેલા હતા. જો કે 59 ગુનામાં તો તે વોન્ટેડ હતો. પોલીસે જણાવ્યું હતું કે, આરોપીને ઝડપી લેવા માટે ગયા ત્યારે તેણે પોલીસ પર પણ હુમલો કર્યો હતો, જેથી તેની વળતી કાર્યવાહીમાં પોલીસે ફાયરિંગ કર્યું જેમાં હનીફ ખાન અને તેના પુત્ર મદીનનું મોત નિપજયું હતું. આ હુમલામાં PSI વીરેન્દ્રસિંહ જાડેજા સહિત 7 પોલીસ કર્મી ઘાયલ થયા હતા. જોકે, પરિવારજનો દ્વારા એન્કાઉન્ટર નકલી હોવાના આક્ષેપ કરાયા હતા અને મૃતદેહ ન સ્વીકારવાનો નિર્ણય કર્યો હતો. જોકે, આ મામલે પોલીસ સામે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી. ત્યારબાદ હવે ધ્રાંગધ્રા કોર્ટે પોલીસ કર્મચારીઓ પર ફરિયાદનો આદેશ આપ્યો છે.