લખતરમાં ડમ્પરની અડફેટે બાઈક ચાલક વૃધ્ધનું મોત
- ડમ્પર ચાલક ડમ્પર મુકી નાસી છુટયો
- કેન્ટીંનપરા ત્રણ રસ્તા નજીક અવારનવાર અકસ્માત સર્જાતા સ્પીડ બ્રેકર મુકવા માંગ
સુરેન્દ્રનગર : લખતર-વિરમગામ હાઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યાં છે ત્યારે હાઈવે પર ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈકચાલક વૃધ્ધનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે અકસ્માત બાદ ડમ્પરચાલક ડમ્પર મુકીને નાસી છુટયો હતો જે અંગે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી છે.
લખતર તાલુકાના લીલાપુર ગામનાં મનજીભાઈ મોહનભાઇ સાતુનીયા (પટેલ) ઉ.વ.૬૭ બાઇક લઇને લખતર આવ્યા હતા. ત્યારે હાઇવે પર આવેલા એક ગેસ્ટ હાઉસ નજીક પહોંચતા વિરમગામથી સુરેન્દ્રનગર તરફ પુરપાટ ઝડપે જઈ રહેલા ડમ્પરના ચાલકએ પાછળથી બાઈક ચાલક વૃધ્ધને અડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જયારે ડમ્પર ચાલક લખતર સબ સ્ટેશન પાસે આવેલી ઢવાણીયા દાદાની દેરી નજીક ડમ્પર મૂકીને નાસી છૂટયો હતો.
અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામના સર્જાયો હતો. અકસ્માતની જાણ લખતર પોલીસને થતાં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ટ્રાફિકને હળવો કરવ્યો હતો.
પોલીસએ મૃતકની લાશનો કબજો મેળવી પીએમ અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે અકસ્માત બનાવની જાણ મૃતકનાં પરિવારજનો અને લીલાપુરના ગ્રામજનોને થતા લખતર સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અત્રે ઉલ્લેખની છે કે લખતર વિરમગામ હાઇવે નજીક કેન્ટીંનપરા અને લખતર શહેર વિસ્તારમા જવા માટે ત્રણ રસ્તા પડતા હોવાના કારણે અનેક વખત આ જગ્યા ઉપર અકસ્માતોના બનાવો વધી રહ્યાં છે ત્યારે રહીશો અને વાહન ચાલકોમાં હાઇવે ઉપર સ્પીડ બ્રેકર બનાવવામા આવે તેવી માંગ ઉઠવા પામી છે.