100 ભ્રષ્ટાચારી અધિકારીઓની યાદી તૈયાર: ભ્રષ્ટ અધિકારીઓ સામે સખ્તાઈને બદલે વહેલી નિવૃત્તિ, સસ્પેન્શનનાં સુસ્ત પગલાં

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
Corruption


Corruption in Gujarat: ગુજરાતની ભાજપ સરકારને ભ્રષ્ટાચારને અજગર ભરડો લાગ્યો છે. કલેક્ટરોના જમીન કૌભાંડ બાદ રાજકોટના અગ્નિકાંડે એક ટાઉન પ્લાનિંગ ઓફિસરના લોકરમાંથી રૂ. 18.18 કરોડની ઈતિહાસની સૌથી મોટી જપ્તીએ તો હાહાકાર મચાવી દીધો છે. ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત સરકાર આપવા ત્રણ દાયકા પહેલા રાજ્યની પ્રજાએ ભાજપને સત્તા સોંપી હતી. આજે ભ્રષ્ટાચાર એટલો વ્યાપક બન્યો છે કે ખુદ રાજ્ય સરકારે ભ્રષ્ટાચારથી પ્રજામાં સરકારની છબિ નબળી પડી રહી છે. 

સરકારે 100 જેટલા ભ્રષ્ટ અધિકારીઓની યાદી તૈયાર કરી

એક પછી એક કૌભાંડના કારણે હવે સરકાર સફાળી જાગી છે અને પાટનગરના સૂત્રો જણાવે છે કે ખુદ સરકારે 100 જેટલા ભ્રષ્ટ અધિકારીઓની યાદી તૈયાર કરી છે. યાદીની સમીક્ષા કરી તેમને ફરજીયાત ઘરે બેસાડી દેવા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 

જોકે, નિવૃત્ત કે સસ્પેન્શન આ સમસ્યાને નિવેડો નથી. દાખલારૂપ કામગીરી કરી, આ અધિકારીઓએ એકત્ર કરેલી કાળી કમાણી જપ્ત થવી જોઈએ. જે અધિકારી ભ્રષ્ટ હોય તો તે જેલ ભેગા પણ થવા જોઈએ એવું માનનારો પણ એક વર્ગ છે.

શહેરી વિકાસ અને મહેસૂલ ખાતામાં સૌથી વધુ ભ્રષ્ટાચાર અંર્ગની ફરિયાદો

વિજિલન્સ કમિશનના અહેવાલ અનુસાર રાજ્યમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર અંર્ગની ફરિયાદો શહેરી વિકાસ અને મહેસૂલ ખાતામાં થાય છે. આ પછીના ક્રમે પંચાયત અને ગૃહ વિભાગોના વારો આવે છે, તકેદારી પંચ અને એન્ટિ કરપ્શન બ્યૂરોને મળતી અરજી-ફરિયાદના આધારે આ અહેવાલ તૈયાર થયેલો છે. એટલે રાજ્ય સરકારમાં ભ્રષ્ટાચાર છે જ એ સર્વવિદિત છે. 

બીજું, રાજ્યસરકારે છેલ્લા એક પખવાડિયામાં જેમની સામે ગેરરીતિની ફરિયાદો છે એવા ક્લાસ વન કે જીએએસ કેડરના પાંચ અધિકારીઓને ફરજીયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે. આ દર્શાવે છે કે રાજ્ય સરકારના વહીવટી તંત્રમાં ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં ચાલી રહ્યો છે. 

એસીબીમાં થતી દરેક અરજી બાદ પગલાં લેવાતા નથી

કમનસીબી એવી પણ છે કે એસીબીમાં થતી દરેક અરજી બાદ પગલાં લેવાતા નથી. રાજકોટ અગ્નિકાંડમાં અત્યારે ટીપીઓ મનસુખ સાગઠીયા સામે આકરી કાર્યવાહી થઈ રહી છે. પણ અગાઉ તેમની સામે એસીબીમાં થયેલી ફરિયાદ ધૂળ ખાઈ રહી હતી. સાગઠિયાના વડીલબંધુ કે,ડી. સામે પણ આવી ફરિયાદો થઈ હોવાનું જાણકારો કહે છે, છતાં અત્યારે માત્ર તેમની બદલી જ થઈ છે. કોઈ પગલાં કે તપાસ નહીં.

ભ્રષ્ટાચાર રોકવા માટે એન્યુઅલ પ્રોપર્ટી રીટર્ન ફરજિયાત

એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)ની ટ્રેપમાં સૌથી વધારે મહેસૂલ અને પોલીસના અધિકારી પકડાતા હોવાથી સૌથી પહેલો વારો તેમનો આવશે. ગુજરાત સરકારે ભ્રષ્ટાચાર રોકવા માટે તમામ કર્મચારીઓનું એન્યુઅલ પ્રોપર્ટી રીટર્ન (એપીઆર) પણ ફરજિયાત બનાવ્યું છે.

સરકારે ઈમેજ સુધારવા ઓપરેશન ક્લીન હાથ ધર્યું

તાજેતરમાં 2000 કરોડના ડુમસ જમીન કૌભાંડમાં સુરતના ભૂતપૂર્વ અને છેલ્લે વલસાડના આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા હતા. એ પહેલાં ગાંધીનગરના ભુતપુર્વ કલેકટર એસ. કે. લાંગાના અબજોના કૌભાંડો બહાર આવતાં તેમની ધરપકડ કરાઈ છે. આ અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે ભાજપ સરકારની ઈમેજ બગડી હોવાથી સરકારની ઈમેજ સુધારવા ઓપરેશન ક્લીન હાથ કરીને ભ્રષ્ટ્રાચારીઓને ઘરે બેસાડવાની પ્રક્રિયા હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. 

સરકાર દ્વારા ભ્રષ્ટ અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશ

રાજ્ય સરકારે નર્મદા અને સહકાર વિભાગના બે અધિકારીને ફરજિયાત નિવૃત્ત કરીને શરૂઆત કરી હતી. એ પછી ગયા અઠવાડિયે આ દિશામાં મહત્વનું પગલું ભરીને છ અધિકારીને ઘરે બેસાડી દીધા હતા. રાજ્ય સરકારે પહેલાં ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા ત્રણ ઉચ્ચાધિકારીને ફરજિયાત નિવૃત્ત કર્યા પછી ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટર (પીઆઈ)ને પણ ફરજિયાત નિવૃત્તિના આદેશ આપીને ઘરે બેસાડી દીધા છે.

આ પણ વાંચો: શાસકપક્ષ ભાજપના ધારાસભ્યોનું હલ્લાબોલ: 'ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કોઇ મહત્ત્વ નથી માત્ર અધિકારીઓનું રાજ ચાલે છે'

રાજ્ય સરકારે, 5 જુલાઈએ રાજ્યના નાણાં વિભાગના નાયબ રાજ્ય વેરા 'કમિશનર વર્ગ 1 ના બે અધિકારીઓ ડી.પી.નેતા અને એસ.એચ.ગાંધીને તેમની સેવાઓમાંથી તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત્ત કરી દીધા હતા. એ પછી ગુજરાત એડમિનિસ્ટ્રેટીવ સર્વિસના ઉચ્ચાધિકારી એસ.જે. પંડયાને પણ તાત્કાલિક અસરથી રાજીનામું અપાવડાવીને વહેલા નિવૃત્ત કરી દીધા છે.

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આદેશ આપીને એફએમ કુરેશી, ડી.ડી. ચાવડા અને આર.આર.બંસલ એ ત્રણ પિઆઈને ફરજિયાત નિવૃત જાહેર કરી દીધા છે. આ પૈકી દેવન ધનાભાઈ ચાવડા ઉર્ફે ડી.ડી. ચાવડા અને રાજેશકુમાર રામકુમાર બંસલ ઉર્ફે આર.આર.ભેંસલ અમદાવાદ ખાતે નાગરિક સંરક્ષણ દળમાં ફરજ બજાવતા હતા જ્યારે ફારૂક મુહમ્મદ મધરૂફ અહમદ કુરેશ ઉઠે એફ. એમ. કુરેશી રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે જુથ 08માં હથિયારધારી પીઆઈ તરીકે ફરજ બજાવતા હતા. આ તમામ અધિકારીને છેલ્લા પગાર પ્રમાણે ત્રણ મહિનાનો પગાર આપીને રવાના કરી દેવાયા છે.

100 ભ્રષ્ટાચારી અધિકારીઓની યાદી તૈયાર: ભ્રષ્ટ અધિકારીઓ સામે સખ્તાઈને બદલે વહેલી નિવૃત્તિ, સસ્પેન્શનનાં સુસ્ત પગલાં 2 - image


Google NewsGoogle News