દુકાનમાં કાર ઘુસાડીને અકસ્માત સર્જનાર કારચાલક નુકસાનની ભરપાઈ કરવામાંથી ફરી ગયો, પોલીસે ગુનો દાખલ કર્યો

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
દુકાનમાં કાર ઘુસાડીને અકસ્માત સર્જનાર કારચાલક નુકસાનની ભરપાઈ કરવામાંથી ફરી ગયો, પોલીસે ગુનો દાખલ કર્યો 1 - image


Vadodara News : વડોદરાના ખોડીયાર નગર રોડ રત્નમ સ્ક્વેરમાં રહેતા ચાંદભાઈ ઉદાજીભાઈ મારવાડી ધોબી કામ કરે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી છે કે 31 ઓગસ્ટ હું મારી દુકાને હતો અને દુકાનમાં ગ્રાહકોના કપડા ઈસ્ત્રી કરતો હતો. રાત્રે 9:45 વાગે એક કારનો ચાલક પૂર ઝડપે આવતા તેને કાબુ ગુમાવી દીધો હતો અને મારી દુકાન પાસે મુકેલા સિમેન્ટના બેસવાના બાંકડા તોડીને અમારી દુકાનમાં ગાડી અથાડી દીધી હતી. દુકાનમાં મુકેલા ઈસ્ત્રી કામ કરવાના ટેબલની સાથે અથડાતા મને ઈજા થઈ હતી. ગાડીનું રેડીએટર ફાટી જતા તેનું પાણી ગ્રાહકના કપડા ઉપર પડતા કપડા પણ બગડી ગયા હતા.

કાર અકસ્માતનો અવાજ સાંભળીને આજુબાજુના લોકો તથા રાહદારીઓ ભેગા થઈ ગયા હતા. આ કારચાલકે ફોન કરીને તેના ઓળખીતાઓને બોલાવી લીધા હતા અને તેઓએ મારી સાથે ઝઘડો કર્યો હતો. તે દરમિયાન પોલીસને ફોન કરતા પોલીસ આવી ગઈ હતી. મારી દુકાનમાં થયેલ નુકસાન તેમજ મને થયેલી ઇજા પેટે 35 હજાર રૂપિયા આપવાનું મારી સાથે નક્કી થતા રકમ ભર્યા વિનાનો કોરો ચેક આપ્યો હતો. અને કહ્યું હતું કે પહેલી તારીખે રૂ.35,000 આપીને ચેક લઈ જઈશું. ત્યારબાદ કારચાલક તથા તેના ઓળખીતા ત્યાંથી જતા રહ્યા હતા. મેં ચેકની સામે 35,000 માંગતા ચેક આપનાર બ્રિજેશ રમણભાઈ પટેલ તથા ભાવેશ તથા સન્નીએ ભેગા થઈને મને ધમકી આપી હતી કે એક પણ રૂપિયા નહીં આપીએ તારાથી થાય તે કરી લે અને મને ગાળો આપી હતી.


Google NewsGoogle News