Get The App

રાજકોટમાં ડોક્ટરની ઘોર બેદરકારી, દર્દીના ડાબા પગની સાથે જમણા પગનું ઓપરેશન કરી નાખ્યું

Updated: Dec 19th, 2024


Google NewsGoogle News
રાજકોટમાં ડોક્ટરની ઘોર બેદરકારી, દર્દીના ડાબા પગની સાથે જમણા પગનું ઓપરેશન કરી નાખ્યું 1 - image


Doctor Negligence In Rajkot: રાજકોટના જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારમાં આવેલી યુનિકેર હોસ્પિટલમાં પગનાં દુઃખાવાની સારવાર માટે ગયેલી 20 વર્ષીય સપનાબેન પટોડિયાના ડાબા પગની સાથે જમણા પગનું પણ ઓપરેશન કરી દેવાયું હતું. આ ઘટનાને લઈને દર્દીએ ડો.જીગીશ દોશી સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. 

જાણો શું છે સમગ્ર મામલો

મળતી માહિતી અનુસાર, નાગેશ્વર વિસ્તારમાં સ્થિત યુનિકેર હોસ્પિટલનાં ડો.જીગીશ દોશી સામે સપનાબેન પટોડિયાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સપનાબેને પોલીસને જણાવ્યું હતું કે, 'આશરે 10 વર્ષ પહેલા જૂનાગઢમાં ગણેશ વિસર્જન સમયે ટ્રક પલટી ખાઈ જતા મને ડાબા પગે સામાન્ય ઈજા પહોંચી હતી. પરંતુ જે-તે વખતે સારવાર લીધી ન હતી. ધીમે-ધીમે ડાબા પગે ગોઠણથી નીચેના ભાગે દુઃખાવો થતો હોવાથી જૂનાગઢમાં તબીબને બતાવતા સોનોગ્રાફી સહિતના રીપોર્ટ કરાવ્યા હતા. જે રીપોર્ટ જોઈ તબીબે ડાબા પગે લોહીની ગાંઠ થઈ ગઈ છે. તમારે સારવાર માટે વાસ્ક્યુલર સર્જનને બતાવવું પડશે. ત્યારબાદ મે ઈન્ટરનેટ પર સર્ચ કર્યું હતું. જેમાં રાજકોટની યુનિકેર હોસ્પિટલનું સરનામું મળ્યું હતું. મે રાજકોટ રહેતા કૌટુંબીક ફુવા સતીષભાઈને ફોન કરી આયુષ્યમાન કાર્ડ દ્વારા તે હોસ્પિટલમાં ઓપરેશન કરી અપાય છે કે કેમ? તેની જાણ કરાવી હતી.'

આ પણ વાંચો: અમદાવાદમાં નકલી તબીબે વૃદ્ધના ઘરે આવી ઢીંચણનું ઓપરેશન કરી 6 લાખ ખંખેર્યા, આ રીતે ફૂટ્યો ભાંડો


સપનાબેને પોલીસને જણાવ્યું હતું કે, 'ફુવાએ તપાસ કરી મને હા કહ્યું હતું. ત્રીજી એપ્રિલ 2024નાં યુનિકેર હોસ્પિટલ પહોંચી હતી. જ્યા ડો. જીગીશ દોશીએ મને દવાથી શારૂ થતું ન હોય તો ઓપરેશન કરાવવું પડશે તેમ જણાવ્યું હતું. જ્યારે ઓપરેશન કરાવવાનું થાય તયારે મને ફોન કરી જણાવો, હું તમને તારીખ અને ટાઈમ આપી દઈશ. મને પગનો દુઃખાવો વધુ થતો હોવાથી 24-4-2024ના યુનિકેર હોસ્પિટલમાં દાખલ થઈ હતી. જ્યા જરૂરી ટેસ્ટ અને રીપોર્ટ કરીને ડો. દોશીએ તા.25-4-2024નાં મારા ડાબા પગનું ઓપરેશન કર્યું હતું. બાદમાં તેમણે મારા પિતાને જણાવ્યું હતું કે,તમારી દિકરીને જમણા પગમાં પણ નાની ગાંઠ હતી. તેનું પણ ઓપરેશન કરી દીધું છે.'

આ પણ વાંચો: જમણાની જગ્યાએ ડાબા પગનું ઓપરેશન કરી નાખ્યું, ડૉક્ટર-હોસ્પિટલ પર 1.20 કરોડનો દંડ


ડોક્ટરની ઘોર બેદરકારી

પીડિતે વધુમાં જણાવ્યું હતું કે, 'મને હોસ્પિટલમાંથી 26મી એપ્રિલનાં રજા અપાતા હું ઘરે ગઈ હતી. ઓપરેશન બાદ ડાબા પગમાં શારૂ થઈ ગયું હતું. પરંતુ જમણાં પગમાં દુઃખાવો થતો હોવાથી ફરી હોસ્પિટલ પહોંચી હતી.  જ્યા ડો.દોશીએ જણાવ્યું હતું કે, તમે આરામ કરો છ મહિનામાં સારૂ થઈ જશે, તમારે બીજા કોઈ રીપોર્ટ કરાવવાની જરૂર નથી. પરંતુ શારૂ ન થતા મે ફરી જૂનાગઢમાં તબીબને બતાવી એમ.આર.આઈ. કરાવતાં તબીબે ઓપરેશન વખતે જમણા પગમાં કોઈ ભુલ થવાથી ગોઠણનાં નીચેના ભાગે આવતી નસ થોડી દૂર જતી રહી છે. જેથી તમને દુઃખાવો થાય છે. આ બાબતે મને ફરી ડો. દોશીએ આરામ કરવાની સલાહ આપી હતી. ત્યારે ડો.જીગીશ દોશીની લાપરવાહીને કારણે મને જમણા પગમાં આજીવન ખોટ રહી ગઈ છે.'

દર્દીનું ઓપરેશન પીએમજેવાય યોજના હેઠળ થયું

બીજી તરફ તબીબી તપાસ કમિટીએ અભિપ્રાય આપ્યો હતો કે, દર્દીના જમણા પગમાં કરવામાં આવેલા ઓપરેશન અંગે સારવાર કરનાર તબીબની બેદરકારી નકારી શકાય નહીં. ઓપરેશનનું કારણ શંકાસ્પદ જણાય છે. દર્દીનું ઓપરેશન પીએમજેવાય યોજના અંતર્ગત થયું હતું.

રાજકોટમાં ડોક્ટરની ઘોર બેદરકારી, દર્દીના ડાબા પગની સાથે જમણા પગનું ઓપરેશન કરી નાખ્યું 2 - image


Google NewsGoogle News