ધંધુકા : વીજ કચેરીમાંથી જ જુનિ. એન્જિનિયરનો મૃતદેહ મળ્યો
- જુનિયર એન્જિનિયરનાં મોતનું કારણ અકબંધ
- રાત્રે કચેરીમાં સુતેલાં કર્મી બાદમાં જાગ્યા જ નહીં,પોલીસની હાજરીમાં હોસ્પિ.ખસેડાયા જયાં મૃત જાહેર કરાયા
બનાવની વિગત એવી છે કે, છોટા ઉદેપુરના વતની તરૂણભાઈ જગાભાઈ રાઠવા ની થોડા સમય પૂર્વેજ અન્ય જિલ્લામાંથી બોટાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આવેલી યુજીવીસીએલ કચેરીમાં બદલી થઈ હતી. અને હાલ તેઓ ધંધુકા સ્થિત કચેરી ખાતે નોકરી કરતા હતા. દરમિયાનમાં ગતરાત્રિના સુમારે ધંધુકાની યુજીવીસીએલની કચેરી ખાતે સુતા હતા,બાદમાં કલાકો સુધી તેમની કોઈ હલનચલન જોવા ન મળતાં સહકર્મીઓએ તેમને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ, તેમના તરફથી કોઈ હલન-ચલન કે પ્રત્યુતર ન મળતાં બનાવ અંગે ધંધુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવના પગલે પોલીસ તથા ૧૦૮ સહિતનો કાફલો ઘટના સ્થલે દોડી આવ્યો હતો અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમને મૃત જાહેર કરાતાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. બીજી તરફ, વીજ કચેરીમાં પણ વીજ કર્મીના રહસ્યમય સંજોગોમાં આકસ્મિક મોતને લઈ ભારે ચકચાર મચી હતી. ધંધુકા પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી તેમના મોતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમના રિપોર્ટના આધારે વીજ કર્મીના મોતનું કારણ સ્પષ્ટ થશે તેમ પોલીસ સૂત્રોએ વિગત આપતાં જણાવ્યું હતું.