ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 21 શ્રમિકોના મોત, માલિકની ધરપકડ, ઘટના અંગે PM મોદી-રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું
Deesa Fire: બનાસકાંઠાના ડીસામાં ઢુંવા રોડ પર ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ બ્લાસ્ટ અને આગના કારણે 21 શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે. 21 મૃતકોમાં પાંચ જેટલા કિશોરનો પણ સમાવેશ થાય છે. ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ થયા બાદ આગ ફેલાઇ હતી. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ગોડાઉન ધરાશાયી થઈ ગયું અને કામ કરી રહેલા શ્રમિકોના શરીરના ટુકડા થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર, ઘટનાને પગલે ફેક્ટરી માલિક દિપક મોહનાની પોલીસે ઇડરથી ધરપકડ કરી છે. જ્યારે તેના પિતા ખૂબચંદ મોહનાની ફરાર છે. આ કેસમાં તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. રાત્રે 2 વાગ્યે મધ્યપ્રદેશના અધિકારીઓને તમામ મૃતદેહ સોંપવામાં આવશે.
ડીસા દુર્ઘટનામાં SITની રચના
ડીસા દુર્ઘટનામાં SITની રચના કરવામાં આવી છે. જેમાં ડીવાયએસપીની આગેવાનીમાં બે પોલીસ ઇન્સ્પેક્ટર અને બે પોલીસ સબ ઇન્સ્પેક્ટરને સામેલ કરાયા છે.
- DySP સી.એલ.સોલંકી (ડીસા)- તપાસ અધિકારી
- PI વી.જી. પ્રજાપતિ (, ડીસા રુરલ પોલીસ સ્ટેશન)
- PI એ.જી. રબારી (એસ.ઓ.જી., બનાસકાંઠા)
- PSI એસ.બી.રાજગોર (LCB, બનાસકાંઠા)
- PSI એન.વી. રહેવર (પેરોલ સ્ક્વોડ બનાસકાંઠા)
પીડિતો અને મૃતકોને સહાય જાહેર
મૃતકોના પરિજનોને 4-4 લાખ રૂપિયાની સહાય જાહેર કરાઈ છે. જ્યારે ઈજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયાની સહાય જાહેર કરાઈ છે. આ સાથે વડાપ્રધાન મોદીએ પણ મૃતકોના પરિવારજનોને PMNRFમાંથી 2-2 લાખ રુપિયાની સહાય જાહેર કરી છે.
મધ્યપ્રદેશના મૃતકોની યાદી
- રાકેશભાઈ સત્યાનારાયણભાઈ નાયક (હંડીયા)
- સુરેશભાઈ અમરસિંહ નાયક (હંડીયા)
- વિજયભાઈ નાયક,ઉંમર-23 (હંડીયા)
- વિષ્ણુભાઈ સત્યનારાયણભાઈ નાયક (હંડીયા)
- ધનરાજભાઈ સંતોષભાઈ નાયક (હંડીયા)
- દલીબેન રાકેશભાઈ નાયક
- કિરણબેન રાકેશભાઈ નાયક
- મેહુલભાઈ શંકરભાઈ લુહાર
- ગુડ્ડીબાઈ અમરસિંહ નાયક
- લખન ગંગારામભાઈ નાયક (સિદ્ધલપુર)
- લખનની માતા અને ગંગારામભાઈની પત્ની
- લખનની મોટી બેન, ઉંમર-13 વર્ષ
- લખનનો ભાઈ
સૂતળી બોમ્બ બનાવવા પ્રતિબંધિત એલ્યુમિનિયમ પાવડર વાપરતા
![]() |
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દુ:ખ વ્યક્ત કર્યું
રાહુલ ગાંધીએ ડીસાની ફટાકડા ફેક્ટરીમાં બનેલી દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે 'X' પર લખ્યું કે, ગુજરાતના બનાસકાંઠામાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં અનેક શ્રમિકોના મોત થયા અને અનેક ઈજાગ્રસ્ત થયાના સમાચારથી ખુબ દુઃખ છે. પીડિત પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ વ્યક્ત કરું છું. આ દુર્ઘટનાની તાત્કાલિક તપાસ થવી જોઈએ અને દોષિતોને આકરી સજા મળવી જોઈએ. ઘણીવાર આવી ફેક્ટરીઓમાં આગ અને બ્લાસ્ટની ઘટનાઓ બને છે, રોજી-રોટી કમાવવા નીકળેલા ગરીબ શ્રમિક પોતાનો જીવ ગુમાવે છે.
વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, 2 લાખની સહાય જાહેર કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીસાની ફટાકડા ફેક્ટરીની દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે. સાથે મૃતકોના પરિવારજનોને PMNRFમાંથી 2 લાખ રુપિયાની સહાય જાહેર કરી છે.
સિવિલ ખાતે મંત્રીઓ અને અધિકારીઓને બેઠક યોજાઈ હતી
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અને મંત્રી બળવંત સિંહ રાજપૂત સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. સિવિલ હોસ્પિટલ ખાતે મંત્રીઓ અને અધિકારીઓને બેઠક યોજાઈ હતી. બીજી તરફ ફેક્ટરીમાં કામ કરતા એક યુવાનની પૂછપરછ કરવામાં આવી રહી છે.
બ્લાસ્ટના કારણે ગોડાઉનનો સ્લેબ થયો હતો ધરાશાયી
મળતી માહિતી મુજબ, ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ટૂંક જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતાં તુરંત ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે શ્રમિકોના અંગના ટુકડા દૂર દૂર સુધી ફેંકાયા હતા. 200 મીટર સુધી ફેક્ટરીનો કાટમાળ ફેલાયો હતો, જે હટાવવા માટે JCBની મદદ લેવાઈ હતી. વિસ્ફોટના કારણે ગોડાઉનની છત પણ ધરાશાયી થઈ ગઈ હતી. પાંચ જેટલા શ્રમિકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
મૃતકો મધ્ય પ્રદેશના હોવાનું અનુમાન
તમામ મૃતકો મધ્ય પ્રદેશના રહેવાસી હોવાનું અનુમાન છે. મળતી માહિતી પ્રમાણે આ શ્રમિકો હાલમાં જ પૈસા કમાવવા માટે અહીં જોડાયા હતા અને મજૂરી કરતાં. મૃતકોની ઓળખ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
કલેક્ટરે શું કહ્યું?
બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું છે, કે 'આજે સવારે અમને ડીસાના ઔદ્યોગિક ક્ષેત્રમાં ભયાનક વિસ્ફોટની જાણકારી મળી. ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઈજાગ્રસ્ત શ્રમિકોને હોસ્પિટલ લઈ જવાયા છે. વિસ્ફોટના કારણે ફેક્ટરીનો સ્લેબ ધરાશાયી થયો હતો.'
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડીસાની ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે 'X' પર લખ્યું છે કે, ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટ થવાથી આગ લાગવાના લીધે અને સ્લેબ ધરાશાયી થવાના લીધે શ્રમિકોના મૃત્યુની ઘટના હૃદયદ્રાવક છે. દુ:ખની આ ઘડીમાં મારી આત્મીય સંવેદના મૃતકોના સ્વજનોની સાથે છે. આ દુર્ઘટનામાં રાહત-બચાવ અને સારવારની કામગીરીને લઈને હું વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું.'
ઉચ્ચ કમિટી બનાવવા માટે પણ હું રજૂઆત કરીશ: સાંસદ ગેનીબેન ઠાકોર
સાંસદ ગેનીબેન ઠાકોરે મીડિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, 'નિર્દોષ લોકોને શાંતિ મળે એવી પ્રાર્થના કરુ છું. રાજકોટ પછીની આ બીજી ગોઝારી ઘટના બની છે. વહીવટી તંત્રની મોટી ચૂક છે. મંજૂરી આપતી વખતે શું ધ્યાન રાખ્યું એ પણ તપાસનો વિષય છે. નિર્દોષ લોકોના મોત થયા છે એમના પરિવારજનોને ન્યાય મળે એ માટે કાર્યવાહી કરવા ઉચ્ચ કમિટી બનાવવા માટે પણ હું રજૂઆત કરીશ. રાજ્ય સરકારે જો રાજકોટ બાદ યોગ્ય કાર્યવાહી કરી હોત તો કદાચ આ દુર્ઘટના ન બની હોત. હું અપેક્ષા રાખું કે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.'
સરકારને કોઈ ચિંતા જ નથી, એ વાતનું દુઃખ: શક્તિસિંહ ગોહિલ
કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, 'અતિશય દુઃખદ સમાચાર મળ્યા કે, બનાસકાંઠાના ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાના કારણે 17 વ્યક્તિઓના દુઃખદ મૃત્યુ થયા. ગુજરાતમાં વારંવાર આવી ઘટનાઓ બને છે. સુરતનું તક્ષશિલા હોય કે રાજકોટનો અગ્નિકાંડ હોય, કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા. તેમ છતાં સરકારને કોઈ ચિંતા જ નથી, એ વાતનું દુઃખ.'
કોની બેદરકારીએ નિર્દોષ ગરીબોનો જીવ લીધો?
જાણકારી અનુસાર ગોડાઉન માત્ર ફટાકડાનો સ્ટોક કરવાની જ મંજૂરી હતી છતાં ત્યાં ફટાકડા બનાવવાની ફેક્ટરી શરૂ કરી દેવાઈ હતી. એવામાં હવે કોની બેદરકારીના કારણે શ્રમિકોએ જીવ ગુમાવ્યો તેની તપાસ જરૂરી છે.