ખુદ માતાએ જ નવજાત શિશુના પેટના ભાગે અગરબત્તીથી ડામ દેતા મોત

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
ખુદ માતાએ જ નવજાત શિશુના પેટના ભાગે અગરબત્તીથી ડામ દેતા મોત 1 - image


જેતપુર તાલુકાના સરધારપુર ગામની ચોંકાવનારી ઘટના  : સૌરાષ્ટ્રમાં અંધશ્રધ્ધાએ બે દિવસમાં તરૂણી અને બાળકી સહીત બેનો ભોગ લેતા અરેરાટી

જેતપુર, : ધ્રોલના હજામચોરા ગામમાં અંધશ્રધ્ધાને કારણે 15  વર્ષની બહેનની તેના મોટાભાઈ અને બહેને મળી હત્યા કરી નાખ્યાની ઘટના હજુ તાજી છે ત્યાં અંધશ્રધ્ધાને કારણે આજે એક નવજાત શિશુનો ભોગ લેવાયો હતો.  ખુદ માતાએ જ ધાવણ નહીં આવતાં સતત રડી રહેલા પોતાના નવજાત શિશુને ભુવાની સલાહથી અગરબત્તીના ડામ આપતા મોત નિપજયું હતું. 

મૂળ મધ્યપ્રદેશના અને હાલ જેતપુરના સરધારપુર ગામે વાડી વિસ્તારમાં રહી ખેતમજુરી કરતા પરિવારની ગુડીબેન પિન્ટુ મુમલદેએ 24 દિવસ પહેલાં પુત્રને જન્મ આપ્યો હતો. ત્યારબાદ ધાવણ નહીં આવતાં ગુડીબેનનું નવજાત શિશુ સતત રડતું હતું. આ સ્થિતિમાં ગુડીબેને મધ્યપ્રદેશ રહેતા ભુવાનો સંપર્ક કરી  પોતાના બાળકને છાનો રાખવા માટે મદદ માંગી ઉપાય જણાવવા કહ્યું હતું.  

ભુવાએ ગુડીબેનને તેના નવજાત શિશુને પેટના ભાગે અગરબત્તીના ડામ દેવાની સલાહ આપતાં ગુડીબેને તેમ કરી પેટના ભાગે બે ડામ આપતાં તેના નવજાત શિશુની તબીયત લથડી હતી. જેથી તેને વધુ સારવાર માટે રાજકોટની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. 

જયાં ટૂંકી સારવાર બાદ આજે દમ તોડી દીધો હતો. જાણ થતા જેતપુર તાલુકા પોલીસ રાજકોટ દોડી આવી હતી. નિવેદનો નોંધી પોલીસે તપાસ આગળ ધપાવી છે.  ઉલ્લેખનીય છે કે બાળકોને ડામ આપવાની આ પહેલી ઘટના નથી. આ અગાઉ પણ સૌરાષ્ટ્રમાં આ પ્રકારની અનેક ઘટનાઓ બની ચુકી છે. 


Google NewsGoogle News