Cyclone Biparjoy : વાવાઝોડું રૌદ્ધ બન્યું : ઠેર ઠેર 4 નંબરના સિગ્નલ લગાવાયા, દરિયો પણ ગાંડોતૂર બન્યો
તમામ બંદરો પર 4 નંબરનું સિગ્નલ લગાવાયું : સાયક્લોનની સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બેઠક
માછીમારોને દરિયો ન ખેડવાની તંત્રએ સૂચના : દરિયાકાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવા અપીલ
અમદાવાદ, તા.11 જૂન-2023, રવિવાર
બિપરજોય વાવાઝોડું ગુજરાત પર ત્રાટકે તે પહેલા દરિયાકાંઠાના તમામ જિલ્લાઓનું વહિવટી તંત્ર એલર્ટ પર આવી ગયું છે. દક્ષિણપૂર્વી અરબી સમુદ્રમાં ઉદભવેલુ ચક્રવાત બિપરજોય એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થતાં તંત્ર એલર્ટ આવી ગયું છે. વાવાઝોડું દક્ષિણ પશ્ચિમ પોરબંદરથી હાલ 460 કિલોમીટર દૂર છે અને તે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાઓ તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાના પગલે રાજ્યના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ હટાવીને 4 નંબરનું સિગ્નલ લગાવાયું છે. વાવાઝોડાની આગાહીને પગલે દ્વારકાના બંદર પર 4 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તમામ બંદરો પર 4 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવાની તંત્રએ સૂચના આપી છે. દરિયાકાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવાની તંત્રએ અપીલ કરી છે. તો પોરબંદરનાં દરિયાઈમાં 10થી 15 ફુટ સુધી મોજા ઉછળતા ચોપાટી સુધી પાણી પ્રવેશી ગયા છે.
14-15 જૂનના રોજ ભારે વરસાદની પણ આગાહી
ચક્રવાત બિપરજોય (Cyclone Biparjoy) ગુજરાતના પોરબંદરથી ફક્ત 460 કિ.મી. દૂર દક્ષિણ-પશ્ચિમમાં અરબ સાગરમાં છે. આ વાવાઝોડું 5 કિ.મી. પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. 15 જૂન સુધી તે કચ્છના તટ સુધી પહોંચી શકે છે. પોરબંદરની નજીકમાંથી તે આશરે 200થી 300 કિ.મી. અને નલિયાથી 200 કિ.મી.ની અંતરથી પસાર થવાની શક્યતા છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં આ વાવાઝોડું ત્રાટકશે તે નક્કી થઈ ગયું છે તેવું હવામાન વિભાગનું કહેવું છે. આગામી 14-15 જૂનના રોજ ભારે વરસાદની પણ આગાહી છે. લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાની સલાહ અપાઈ છે. તંત્ર દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવવાનું વિચારી રહ્યું છે.
સાયક્લોનની સ્થિતિ અંગે CM ભૂપેન્દ્ર પટેલની બેઠક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાતે પહોંચ્યા હતા. સાયક્લોનની સ્થિતિ અંગે CM ભૂપેન્દ્ર પટેલે ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી વીડિયો કોન્ફરન્સનું યોજી હતી. ભૂપેન્દ્ર પટેલે દરિયા કાંઠાના જિલ્લા કલેક્ટરો સાથે બેઠક કરી હતી. તેમણે કલેક્ટરોને પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ રહેવાનો આદેશ આપ્યો હતો. આ બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર અને રાહત કમિશનર પણ જોડાયા હતા.
દરિયામાં કરંટ
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે અને દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. જાફરાબાદના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. પાલિકાનું ફાયર વિભાગ પણ દરિયાકાંઠે તૈનાત થઈ ગયું છે. સ્થાનિકોને દરિયા કિનારે ન જવાની સૂચના પણ સતત અપાઈ રહી છે.