Cyclone Biparjo : ગુજરાતમાં વાવાઝોડાની ઈફેક્ટ શરૂ, આગામી 3 કલાક વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારોમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફુકાવાની સાથે વરસાદ પડવાની સંભાવના
હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ
અમદાવાદ, તા.11 જૂન-2023, રવિવાર
અરબી સમુદ્રમાં સક્રિય બનેલું બિપોરજોય વાવાઝોડાની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી 3 કલાકમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના કેટલાક ભાગોમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે તો દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ અને વલસાડ, નવસારી, તાપી, ડાંગ, વડોદરામાં પણ વરસાદ પડવાની સંભાનવા વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે. સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. વાવાઝોડાના પગલે દરિયાકાંઠાના વિસ્તારોના લોકોને ચેતવણી આપવામાં આવી છે. આગામી 13મી જૂને પવનની ઝડપ 70 કિમી થવાની સંભાવના છે. બે દિવસ દરમિયાન પવન 35થી 45 કિમીની ઝડપે ફૂંકાશે.
13, 14, 15 ભારે વરસાદની આગાહી
13મી જૂને નવસારી, વલસાડ, સુરત, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, દીવમાં વરસાદ થવાનું અનુમાન છે. 14 જૂને દમણ, દાદરાનગર હવેલી, અમદાવાદ, આણંદ, ગાંધીનગર, પાટણ, કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાનો વર્તારો છે. તો 15 જૂને દમણ, દાદરાનગર હવેલી, અમદાવાદ, આણંદ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વરસાદ થવાની સંભાવના છે.
IMDએ જાહેર કરેલી માહિતી બાદ ફરી ગુજરાત પર ખતરો વધ્યો
IMD અનુસાર, વાવાઝોડું માંડવીથી પણ પસાર થઈ શકે છે. વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. વાવાઝોડું 15 જૂને માંડવી અને કરાંચીની વચ્ચેથી પસાર થાય તેવી શક્યતા છે. કચ્છના દરિયા કાંઠાના વિસ્તારોમાં તેની અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે. જખૌ પોર્ટ ખાતે પવનની ગતિમાં વધારો થયો છે.