ભારે વરસાદથી પાકને નુકસાનમાં રૂા. 17,000 સુધીની સહાય મળશે
વિધાનસભામાં તાકિદની જાહેર બાબત હેઠળ કૃષિમંત્રીની જાહેરાત : જૂનાગઢ, પોરબંદર, દ્વારકા જિલ્લામાં સર્વેની કામગીરી પૂર્ણ થવાનાં આરે : ૩૩ ટકાથી વધારે નુકસાન હશે, એ ખેડૂતોને એસ.આર.ડી.એફ.નાં ધારાધોરણ મુજબ સહાય ચૂકવવા બાંયધરી
પોરબંદર, : સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ભારે વરસાદથી ખેતીપાકમાં ખેડૂતને 33% થી વધારે નુકશાન થયું હશે તે કેસમાં એસ.ડી.આર.એફ.ના ધારા-ધોરણો મુજબ હેક્ટર દીઠ રૂપિયા 8,500ની સહાય બે હેક્ટરની મર્યાદામાં સહાય કરવામાં આવશે, એવી આજેવિધાનસભામાં કૃષિમંત્રીએ જાહેરાત કરવા સાથે બાયંધરી આપી હતી.
વિધાનસભામાં તાકીદની જાહેર અગત્યની બાબત હેઠળ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ સૌરાષ્ટ્રના પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢ જિલ્લાના 16 તાલુકામાં અને તેમાંય ખાસ કરીને ઘેડ વિસ્તારમાં અતિ ભારે વરસાદ થવાથી ખેડૂતોેના પાકને થયેલ નુકસાન સામે રાજ્ય સરકાર એસ.ડી.આર.એફ. ના ધોરણો મુજબ ખેડૂતોને સહાય કરવા માંગે છે કે કેમ તે અંગે પ્રશ્ન કર્યો હતો. જેના જવાબમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદથી નુકસાન થયું છે ત્યાં તાત્કાલિક અસરથી સર્વે ચાલુ કર્યો છે, સર્વેની કામગીરી પૂર્ણ થવાના આરે છે, સર્વે બાદ જે કેસમાં ખેડૂતને ૩૩% થી વધારે નુકસાન થયું હશે તે કેસમાં એસ.ડી.આર.એફ.ના ધારા-ધોરણો મુજબ હેક્ટર દીઠ રૂપિયા 8,500 ની સહાય બે હેક્ટરની મર્યાદામાં સહાય કરવામાં આવશે. આ ઉપરાંત ખાતરી આપી હતી કે એસ.ડી.આર.એફ.ના ધારા-ધોરણોથી પણ વધારે સહાયની જરૂર જણાશે તો સરકાર તે મુજબ સહાય આપવા માટે તૈયાર છે.