ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા દરમિયાન મગર દેખાયો, તંત્રની ચેતવણી છતાં લોકો ઉઠાવે છે નદીમાં સ્નાનનું જોખમ
Vadoadra : વડોદરા નજીક ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા દરમિયાન હજારો પરિક્રમાવાસીઓ ઉમટી રહ્યા છે ત્યારે નદીમાં મગર દેખાયો હોવાની ઘટના સામે આવી છે. સાથે જ નદીમાં મગર ફરતો હોય તેવો વીડિયઓ પણ વાઈરલ થયો છે. વડોદરા નજીક નર્મદા જિલ્લાના રામપુરા તેમજ તિલકવાડા ખાતે ચૈત્ર મહિના દરમિયાન ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનું વિશેષ મહાત્મય હોવાથી ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તેમજ દક્ષિણ ભારતના પરિક્રમાવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. પરિક્રમાવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં લઇ વહીવટી તંત્ર દ્વારા અનેક સ્થળે નદીમાં મગરો હોવાથી સ્નાન નહીં કરવા માટે ચેતવણીના બોર્ડ મૂકવામાં આવ્યા છે. તેમ છતાં લોકો તંત્રની સુચનાને અવગણીને નદીમાં સ્નાન કરતા જોવા મળે છે.
ઘાટ પાસે બનાવવામાં આવ્યા સ્નાનાગૃહ
પરિક્રમા કરવા નીકળેલા કેટલાક લોકોને તાજેતરમાં નદીમાં મગર તરતો જોવા મળ્યો હતો, અને તેનો વિડીયો પણ વાયરલ થયો છે. આમ છતાં કેટલાક સ્થળોએ પરિક્રમાવાસીઓ નદીમાં સ્નાન કરી રહ્યા હોવાથી તેમના જીવને જોખમ વધ્યું છે. વહીવટી તંત્રએ પરિક્રમાવાસીઓને જુદા-જુદા ઘાટ ઉપર બનાવવામાં આવેલા સ્નાનાગૃહમાં જ સ્નાન કરવા અપીલ કરી છે. આ સ્નાનાગૃહમાં પણ નર્મદા નદીમાંથી જ લીધેલું પાણી આવતું હોવાથી તેનું પણ એટલું જ મહત્વ છે, એવું વારંવાર સમજાવવા છતાં લોકો તંત્રની વાતને અવગણી નદીમાં સ્નાન કરવાનું જોખમ ઉઠાવે છે.