કોન્ટ્રાક્ટર અને કંપનીના સુપરવાઇઝર સામે ગુનો દાખલ
કંપનીનો ગેટ પડતા વૃદ્ધ શ્રમજીવીનું દબાઇ જવાથી મોત થયું હતું
વડોદરા,મકરપુરા જી.આઇ.ડી.સી.માં કામ કરતા સમયે લોખંડનો ગેટ પડતા એક શ્રમજીવીનું દબાઇ જવાથી મોત થયું હતું. સેફ્ટીના સાધનો નહી ં રાખવા બદલ કોન્ટ્રાક્ટર અને કંપનીના સુપરવાઇઝર સામે માંજલપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે.
કલાલી ખિસકોલી સર્કલ પાસે ગુલાબી વુડાના મકાનમાં રહેતા શ્રમજીવી સંજય દશરથભાઇ રાઠોડે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મકરપુરા જી.આઇ.ડી.સી. છૂટક મજૂરોથી કામ કરાવતા નિરવભાઇને હું દોઢ વર્ષથી ઓળખું છું. અમને અત્યારસુધી નિરવભાઇ કે તેમના માણસોએ કોઇપણ પ્રકારના સલામતીના સાધનો જેવા કે, હેલમેટ, સેફ્ટી શૂઝ, હાથ મોજા આપ્યા નથી. ગત છઠ્ઠી તારીખે હું નિરવભાઇના કહેવાથી હું અન્ય મજૂરોને પણ મારી સાથે લઇને સ્ટોમી એન્જિનિયરીંગમાં કામ માટે ગયો હતો.બપોરે એક વાગ્યે લંચના સમયે કંપનીના સુપરવાઇઝર સમીરભાઇએ કંપની વતી મને પાછળનો ગેટ બંધ કરવા જણાવતા હું અને મારા કાકા રણછોડભાઇ શનાભાઇ રાઠોડ ગેટ બંધ કરવા ગયા હતા. ગેટ બંધ કરતા સમયે ગેટ અમારા પર પડતા હું સાઇડમાં ખસી ગયો હતો. પરંતુ, મારા કાકા ગેટની નીચે દબાઇ જતા તેઓનું મોત થયું હતું.