પરવાના વગર રાસાયણિક ખાતરનું ઉત્પાદન, વેચાણ મામલે 3 કંપની વિરુદ્ધ ગુનો નોંધાયો
- કંપનીઓ અનધિકૃત ખાતરનું ઉત્પાદન અને વેચાણ કરતી હતી
- ભાવનગરની બે અને પુણેની કંપની વિરુદ્ધ ખેતી અધિકારીએ નોંધાવી પોલીસ ફરિયાદ
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરના બહુમાળી ભવનમાં આવેલ નાયબ ખેતી નિયામક ( વિસ્તરણ) ની કચેરી ખાતે ગત તા.૨૬/૦૭/૨૦૨૪ ના રોજ ચીફ કવોલિટી કંટ્રોલ આફિસર,એગ્રીકલ્ચર કમિશનર,પૂણે,મહારાષ્ટ્ર પ્રવીણ દેશમુખ અને ડિસ્ટ્રિક્ટ કવોલિટી કંટ્રોલ આફિસર સહિતની ટીમ આવી હતી અને ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં સપ્લાય થતા રાસાયણિક ખાતરની ચર્ચા થઈ હતી,સાથોસાથ રામા ફટકેમ લિમિટેડ પૂણેની ચર્ચા થતા તેમાં ભાવનગરના વ્યક્તિનો ઉલ્લેખ થતા દેવેન્દ્રભાઈ નામના વ્યક્તિનું નામ અને નંબર હોવાથી તેમને રૂબરૂ કચેરીએ બોલાવ્યા બાદ ભાવનગર ખાતે જીઆઇડીસી,પ્લોટ નં.૮૧ ખાતે ડી ૩ એન્ટરપ્રાઇઝમાં તપાસ કરવામાં આવી હતી અને ખાતરના તેમજ તેમાં મિશ્રણ થતા રસાયણોના નમૂના લેવામાં આવ્યા હતા,ત્યાર બાદ પૃથ્વી ખેતીવાડી કેન્દ્ર,ભાવનગર રાજકોટ હાઇવે,નવાગામ ખાતે પણ તપાસ કરી ખાતર તેમજ અન્ય રસાયણોના નમૂના લઈને પંચ રોજકામ કરવામાં આવ્યું હતું અને નમૂના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા તેમજ ઉક્ત કંપનીઓના સંચાલકો દ્વારા ખાતરના ઉત્પાદન કે વેચાણ માટે લાઇસન્સ વગેરે આધાર પણ રજૂ કરવામાં આવ્યા ન હતા.
ખાતાકીય તપાસમાં ત્રણેય કંપનીમાં ખાતરના ઉત્પાદન,વેચાણ માટે અધિકૃત લેટર,લાયસન્સ ન હોવા છતાં અનઅધિકૃત રાસાયણિક ખાતરનું ઉત્પાદન અને વેચાણ થતું હોય તેમજ ખાતરની થેલીઓ ઉપર પણ લખાણ કરેલ હોય નાયબ ખેતી નિયામક ( વિસ્તરણ ) કચેરી,ભાવનગરના ખેતી અધિકારી નીતિનભાઇ ભોપાભાઈ કાવડે ત્રણેય કંપનીઓના જવાબદારો વિરુદ્ધ રાસાયણિક ખાતર અધિનિયમ તેમજ આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા બોરતળાવ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.