રાજકોટમાં વિરોધ અને સમર્થન હાલ બાજુ પર મૂકાયા પણ 'જો રૂપાલા ફોર્મ ભરશે તો...'

Updated: Apr 5th, 2024


Google NewsGoogle News
રાજકોટમાં વિરોધ અને સમર્થન હાલ બાજુ પર મૂકાયા પણ 'જો રૂપાલા ફોર્મ ભરશે તો...' 1 - image


Lok Sabha Elections 2024: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીઓના મામલે વ્યાપેલા આક્રોશને કારણે મેંદાનમાં ઉતરેલા ક્ષત્રિય સમાજના આગામી તા 6 કે 7 એપ્રિલના રોજ યોજાનાર મહાસંમેલનને હાલ મુલતવી રાખવાની જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ રૂપાલાની તરફેણમાં રાજકોટમાં ગુરુવાર સાંજે યોજાનાર પાટીદાર સમાજની ચિંતન બેઠકને  પણ રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

મહાસંમેલન મુલતવી રાખવાની જાહેરાત કરવામાં આવી

રૂપાલાની ટીપ્પણીના વિરોધમાં ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા જુદા-જુદા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા આગામી તા.6 કે 7 એપ્રિલે મહાસંમેલન યોજવાની અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આજે આ મહાસંમેલન મુલતવી રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. ક્ષત્રિય સમાજના અગ્રણી પી. ટી. જાડેજાએ જણાવ્યું કે જો રૂપાલા ફોર્મ ભરે તો જ મહાસંમેલન યોજવામાં આવશે. જો તેમની ટિકિટ ભાજપ રદ કરે અગર તો પોતે જ પોતાનું નામ પાછું ખેંચી લ્યે તો પછી મહાસંમેલન યોજાશે નહીં.

ક્ષત્રિય સમાજ દ્વારા હવે રૂપાલાને માફ કરી દેવા જોઈએ : કલ્પેશ રાંક

બીજી તરફ રૂપાલાના સમર્થનમાં ગઈકાલથી પાટીદાર સમાજ પણ મેદાનમાં ઉતર્યો હતો. જેને કારણે સોશિયલ મીડિયા ઉપર રૂપાલાના સમર્થનમાં પોસ્ટ વાયરલ થવાનું શરૂ થયું હતું. એટલું જ નહીં રૂપાલાના સમર્થનમાં રાજકોટના અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં પોસ્ટરો પણ લાગ્યા હતા. સાથોસાથ રાજકોટમાં ગુરૂવારે સાંજે કડવા અને લેઉઆ પાટીદાર સમાજની સંયુક્ત રીતે બેઠક યોજવાની પણ સોશિયલ મીડિયામાં જાહેરાત થઈ હતી. જોકે સાંજે આ બેઠક રદ થયાની સોશિયલ મીડિયામાં સૌરાષ્ટ્ર એસપીજીના અધ્યક્ષ કલ્પેશ રાંકે સોશિયલ મીડિયામાં રૂપાલાને સમર્થન આપ્યું છે. તેમાં જણાવાયું હતું કે ક્ષત્રિય સમાજ દ્વારા હવે રૂપાલાને માફ કરી દેવા જોઈએ. એટલું જ નહીં રૂપાલાને તમામ રીતે સહયોગ આપી એસપીજી મદદ કરશે.

રાજકોટમાં વિરોધ અને સમર્થન હાલ બાજુ પર મૂકાયા પણ 'જો રૂપાલા ફોર્મ ભરશે તો...' 2 - image


Google NewsGoogle News