પોલીસ વિભાગના નિવૃત્ત કર્મચારીઓને થતા અન્યાય અંગે જિલ્લા કલેકટરને આવેદન પત્ર સુપ્રત
Image Source: Freepik
વડોદરા, તા. 30 સપ્ટેમ્બર 2023 શનિવાર
વર્ષો સુધી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવીને નિવૃત્ત થયેલા પોલીસ કર્મીઓને તેમના નિવૃત્તિ પેન્શન યોજનાના વિવિધ લાભ આપવા માટે વડોદરા શહેર જિલ્લાના નિવૃત્ત પોલીસ કર્મચારીઓએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.
પોલીસ સ્ટાફ નિયમિત રીતે કાયદા કાનુનથી બંધાયેલા છે અને નિવૃત્તિ બાદ પોતાના અધિકાર માટે તંત્ર સામે પોતાના બળાપા કાઢવા મજબૂર બન્યા છે. આ અંગે આજે કલેક્ટર કચેરીએ મુખ્યમંત્રીને સંબોધિત આવેદનપત્ર નિવૃત્ત પોલીસ કર્મચારીઓ દ્વારા આપવામાં આવ્યું છે.
આ આવેદનપત્રમાં વડોદરા શહેર- જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ રાજ્ય સરકારને ત્રીજા ઉચ્ચતર વેતન પંચ મુજબ પગાર ધોરણનો લાભ આપવા ૩૦-૩૫-૩૮-૪૦ વર્ષની નોકરી કરીને નિવૃત્ત થયેલા પોલીસ કર્મચારીઓને લાભ આપવા હુકમ કરવા બાબતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સંબોધિત આવેદનપત્ર જિલ્લા કલેકટર કચેરીએ એકત્ર થયેલા શહેર જિલ્લાના નિવૃત્ત થયેલા પોલીસ કર્મચારીઓએ સુપ્રત કર્યું હતું.
આ આવેદનપત્રમાં રાજ્ય સરકારને સંબોધીને જણાવવામાં આવ્યું છે કે નિવૃત્ત પોલીસ કર્મચારીઓ પોતાની ફરજ ખંત થી અને નિષ્ઠાથી બજાવીને નિવૃત્ત થયા છે પરંતુ આજની સુધી તેમને પોતાના નિવૃત્તિ વયના અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા છે આ બાબતે ઘટતું કરવા રાજ્યના મુખ્યમંત્રીને સંબોધિત કરીને લખાયેલા આવેદનપત્રમાં જિલ્લા કલેકટરને રજૂઆત કરાઇ છે.