Get The App

જામનગરના બ્રાસપાર્ટના વેપારી સાથે રૂપિયા 13 લાખનું ચિટિંગ કરવા અંગે જામનગરના જ શખ્સ સામે ફરિયાદ

Updated: Jan 8th, 2025


Google NewsGoogle News
જામનગરના બ્રાસપાર્ટના વેપારી સાથે રૂપિયા 13 લાખનું ચિટિંગ કરવા અંગે જામનગરના જ શખ્સ સામે ફરિયાદ 1 - image


Jamnagar Fraud Case : જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા અને બ્રાસપાર્ટના ભંગારની લેતી દેતીનું કામ સંભાળતા બ્રાસપાર્ટના એક વેપારીએ પોતાની સાથે રૂપિયા 13 લાખની છેતરપિંડી કરવા અંગે જામનગરના જ નામચીન શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. પોતાની પાસેથી બ્રાસનો ભંગાર ખરીદ કર્યા પછી અડધી રકમ ચૂકવીને બાકીની રકમનો ત્રાહિત વ્યક્તિનો ખોટો ચેક આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. ઉપરાંત તેની પેઢીના જીએસટી નંબર અને બિલનો દૂરઉપયોગ કરી અન્ય પેઢી સાથે પણ બ્રાસપાર્ટના ભંગારની લેતી દેતીના ખોટા વ્યવહાર કરવા અંગેનું સામે આવ્યું છે. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

 આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે  કે જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના વતની તેમજ જામનગરના ઉદ્યોગ નગરમાં મોદી મેટલ્સ નામની બ્રાસની પેઢી ચલાવતા અંતિમભાઈ ઠાકોરદાસ મોદીએ જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાની સાથે રૂપિયા 13 લાખથી વધુની છેતરપિંડી કરવા અંગે જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા સાગર કારૂભાઈ નંદાણીયા સામે ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ગત જુન માસ દરમિયાન ફરિયાદી અંતિમભાઈ પાસે આરોપી સાગરે બ્રાસનો ભંગાર ખરીદ કરવા માટે આવ્યો હતો, અને તેણે આશરે 2500 કિલો જેટલો બ્રાસનો ભંગાર ખરીદ કર્યો હતો, અને તે પૈકી અડધી રકમ આપી હતી. જ્યારે બાકીની 13 લાખ જેવી રકમ ચૂકવવાની બાકી રાખી હતી. જેના બદલામાં તેણે એક ચેક આપ્યો હતો. જે ચેક અંગે ખરાઈ કરતાં ઉપરોક્ત ચેક અન્ય કોઈ વ્યક્તિનો હતો. જેમાં તેણે પોતાની ખોટી સહી કરી હતી. ઉપરોક્ત ચેક બોગસ છે તે અંગે સાગર નંદાણીયાને જાણ કરી હતી, અને તેની પાસેથી બાકી રોકાતી રકમ અંગે અનેક વખત માંગણી કરી હતી, તેમ છતાં પૈસા આપ્યા ન હતા.

ઉપરાંત તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું, કે સાગરે બ્રાસ ભંગાર ખરીદ કરતી વખતે જે બિલ મેળવ્યું હતું, તે મોદી મેટલ્સના બિલનો અને તેના જીએસટી નંબરનો દૂરઉપયોગ કરીને જામનગરમાં અન્ય પેઢીને માલ સામાનની લે-વેચના ખોટા બીલો બનાવી છેતરપિંડી કરી હોવાનું પણ ધ્યાનમાં આવ્યું હતું.

જેથી સમગ્ર મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને સાગર કારૂભાઈ નંદાણીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના અનુસંધાને પોલીસે આઇપીસી કલમ 406, 420, 468  અને પૂર્વયોધિત કાવતરૂં ઘડવા અંગેની કલમ 120-બી હેઠળ ગુનો નોંધ્યો છે, અને ગઈકાલે મોડી સાંજે સાગર કારુભાઈ નંદાણીયાને ઝડપી લીધો છે, અને તેની વિશેષ પૂછપરછ હાથ ધરી છે. ઉપરાંત તેને રિમાન્ડ પર લેવા માટેની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.


Google NewsGoogle News