સુરેન્દ્રનગરમાં પોલીસકર્મી જ વ્યાજખોર, 5000ની સામે 90000 વસૂલ્યાં છતાં ઉઘરાણી ચાલુ રાખતાં FIR
Surendranagar News : રાજ્યમાં એક તરફ પોલીસ વ્યાજખોરના ત્રાસથી લોકોને છુટકારો મળે તે માટે 'એક તક પોલીસને' કાર્યક્રમો યોજતી હોય છે. તેવામાં સુરેન્દ્રનગરથી પોલીસકર્મી જ વ્યાજે રૂપિયા ફેરવતો હોવાનું સામે આવ્યું છે. જોરવારનગર પોલીસ સ્ટેશનમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મી સામે પઠાણી ઉઘરાણી કરી ધમકી આપી હોવાની રિક્ષા ચાલકે ફરિયાદ નોંધાવી છે. એ-ડિવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
શહેરના બસ સ્ટેન્ડ પાછળ ખાટકીવાડમાં રહેતા અને રિક્ષા ચલાવતા ફરિયાદી યુનુસભાઈ હારૂનભાઈ મેરએ જોરાવરનાગર પોલીસ મથકે એએસઆઇ તરીકે ફરજ બજાવતા સરદારસિંહ પોલીસવાળા નામના પોલીસ કર્મી પાસેથી દોઢેક વર્ષ પહેલા રૂા.5000 વ્યાજે લીધા હતા અને રોજના 500 રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું. ફરિયાદીએ સતત 6 મહિના સુધી દરરોજના 500 લેખે કુલ રૂા.90000 સરદારસિંહને રોકડા આપી દીધા હતા. પરંતુ ત્યારબાદ રૂપિયાની સગવડ ન હોવાથી આપવાનું બંધ કર્યું હતું.
દરમ્યાન સરદારસિંહે ફરિયાદી મુદ્દલ તેમજ વ્યાજના રૂપિયાની કડક ઉઘરાણી કરી ગાળો આપી હતી ધમકી આપી હતી કે જો રૂપિયા નહીં આપે તો બાઈક બળજબરીપૂર્વક લઈ લેશે. જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ એ-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે. બીજી તરફ લોકમુખે થતી ચર્ચા મુજબ અરજી સંદર્ભે એ-ડિવિઝન પોલીસે એએસઆઇને નિવેદન લેવા બોલાવ્યો ત્યારે ચાલું નિવેદને પોલીસ મથકેથી નાસી છુટયો હતો.
વ્યાજખોરોને કાયદાનો પાઠ શીખવનાર પોલીસ કર્મચારી ખુદ જ વ્યાજે રૂપિયા આપી દાદાગીરી કરી કડક ઉઘરાણીની અને ધમકીની ફરિયાદ નોંધાવતા પોલીસ બેડામાં પણ ચર્ચાઓએ જોર પકડયું છે. ે આ મામલે ઉચ્ચકક્ષાએથી કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે. હવે આ પોલીસકર્મી પર કાયદેસરના પગલાં ભરાશે કે કેમ તે જોવું રહ્યું.