શાળામાં મોબાઇલ ફોન ઉપયોગ ન કરવા અંગેના પરિપત્ર શાળાની ફાઇલોમાં જ બંધ!

Updated: Jul 17th, 2024


Google NewsGoogle News
શાળામાં મોબાઇલ ફોન ઉપયોગ ન કરવા અંગેના પરિપત્ર શાળાની ફાઇલોમાં જ બંધ! 1 - image


ભુજ: શાળામાં ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન કેટલાક શિક્ષકો શૈક્ષણિક કાર્યને બદલે મોબાઈલનો અંગત ઉપયોગ કરી રહ્યા હોવાની ફરિયાદો ઘણા લાંબા સમય થી ઉઠી રહી છે. જે બાબતે રાજ્યના શિક્ષણ વિભાગ તેમજ અલગ અલગ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ દ્વારા જિલ્લાની શાળાઓને શાળા સમય દરમિયાન મોબાઇલનો અંગત ઉપયોગ ન કરવા માટે સમયાંતરે પરિપત્ર કરીને સૂચનાઓ આપવામાં આવતી હોય છે. અને તે બાબતે જિલ્લાની દરેક શાળાના મુખ્ય શિક્ષકોને આ બાબતે જાણ કરીને પરિપત્રમાં દર્શાવેલ સૂચનો મુજબ અમલવારી કરવા માટે જણાવવામાં આવતું હોય છે. 

દેખીતી રીતે શિક્ષણ વિભાગ અને જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવેલ સૂચનોનું કેટલીક જગ્યાએ ચુસ્તપણે અમલ કરવામાં આવતું હોય છે. તો કેટલીક જગ્યાએ ઉપલા અધિકારી સૂચનાઓની અવગણના કરીને,ધોળીને પી જવામાં આવતી હોય છે. ચાલુ શાળા દરમિયાન કેટલાક શિક્ષકો દ્વારા શૈક્ષણિક કાર્ય દરમિયાન, મોબાઇલનો અંગત ઉપયોગમાં વ્યસ્ત બની જતા હોવાની વાલીઓમાં સમયાંતરે ફરિયાદો ઉઠી રહી છે.

આ અંગે એક શિક્ષકે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, શૈક્ષણિક કાર્ય દરમિયાન શિક્ષકોના મોબાઇલના વ્યક્તિગત વપરાશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જે મુજબ શાળામાં પ્રવેશતાની સાથે જ શિક્ષકોએ પોતાનો મોબાઈલ ,આચાર્ય પાસે જમા કરાવવાનું હોય છે. શિક્ષકો રીશેષ દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરી શકે છે. તેમજ મોબાઇલ રજીસ્ટર જાળવવા માટે આચાર્યને વહીવટી સૂચના આપવામાં આવતી હોય છે. અને જે શિક્ષકો ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઇલનો ઉપયોગ કરે તો તેમની સામે શિક્ષાત્મક વહીવટી પગલાં લેવામાં આવી શકે તેમ હોય છે.પરંતુ મોટા ભાગે મોબાઈલ નો ઉપયોગ બાબતે કોઈ રજીસ્ટર નિભાવવામાં આવતા હોય તેવું જણાતું નથી.  કેટલીક જગ્યાએ ખુદ મુખ્ય શિક્ષક જ મોબાઇલમાં વ્યસ્ત જણાતા હોય છે. જેથી મદદનીશ શિક્ષકોને કંઈ કહી શકતા નથી.

આ બાબતે અન્ય એક શિક્ષકે જણાવ્યું હતું કે , આજે મોટાભાગની માહિતી ઓનલાઇન જ થતી હોય છે. માટે મોબાઈલનો ઉપયોગ જરૂરી બની ગયું છે.પરંતુ શૈક્ષણિક કાર્યને અવરોધ ન થાય તે રીતે સમય ફાળવીને મોબાઇલનો ઉપયોગ કરી શકાય તેમ છે. તો કેટલાક વાલીઓએ જણાવ્યું હતું કે,વિદ્યાર્થીઓ શાળા છૂટયા પછી ઘેર આવે ત્યારે પોતાના સંતાનોનો પૂછવામાં આવે તો સંતાનો કહેતા હોય છે કે, સાહેબ તો આજે મોબાઈલમાંથી જ નવરા ન થયા અને આખો દિવસ મોબાઇલમાં જ વાત કરવામાં કે અન્ય ઉપયોગમાં મોબાઇલ ,લેપટોપ કે કમ્પ્યુટરમાં જ વ્યસ્ત જણાયા.

એક શિક્ષણવિદના જણાવાયા મુજબ શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલ નિયમ મુજબ ચાલુ શૈક્ષણિક સમય દરમિયાન કોઈ શિક્ષક મોબાઈલનો અંગત ઉપયોગ કરતા જણાય તો, પ્રથમ વખત મુખ્ય શિક્ષકે સંબંધિત શિક્ષકને લેખિત તાકીદ કરીને સેવાપોથીમાં નોંધ, બીજી વખત જણાય તો કારણદર્શક નોટિસ અને ત્રીજી વખત જણાય તો વહીવટી બદલી અંગેની ભલામણ કરવાની લેખિત સૂચના આપવામાં આવતી હોય છે. અલબત્ત, હજી સુધી આવી કાર્યવાહી ક્યાંય પણ થઈ નથી. જેનું કારણે જે હોય તે,પરંતુ ચાલુ શાળાએ વહીવટી કામગીરીના બહાના હેઠળ મોબાઈલ ,લેપટોપ કે કમ્પ્યુટરનો અતિરેક ઉપયોગ, વિદ્યાર્થીઓના હિતમાં તો નથી જ.

છેલ્લા કેટલાક વર્ષોથી મોબાઇલ ફોન નો ઉપયોગ ઘણું બધું વધી ગયો છે.જેની સીધી અસર હેઠળ કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ અસર પડી રહી છે.જે બાબતે શિક્ષણ વિભાગ અને જિલ્લાના અધિકારીઓ પણ ચિંતિત છે.


Google NewsGoogle News