અન્યાયના વિરોધમાં સસ્તા અનાજના દુકાનદારો મે માસમાં આંદોલનનું રણશિંગુ ફૂંકશે
- ટેન્ડર કરારનામાની શરતો મુજબ પૂરતા વાહનો પુરા પાડવા જરૂરી
- આધુનિક સુવિધાઓનો અસરકારક અમલ કરાવવા, ડી.એસ.ડી.ના ઈજારદાર દ્વારા નિયમાનુસાર પ્રતિનિધિઓ નિયુક્ત કરવા માંગ
ભાવનગર સહિત રાજયના લગભગ ત્રણ કરોડ બ્યાંસી લાખ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ મફત અનાજ અને સરકારની મોટી સબસીડીના લીધે નજીવી કિંમત ચૂકવીને કલ્યાણકારી યોજના હેઠળ દાળ, ચણા, ખાંડ, મીઠુ અને ખાદ્યતેલ જેવી વિવિધ જણસીઓ લોકોના ઘર સુધી પહોંચાડવાનું વિરાટ કાર્ય રાજયભરના કુલ મળીને ૧૭૦૦૦ દુકાનદાર ભાઈઓ વ્યાજબી ભાવની દુકાનના માધ્યમથી નજીવા કમિશનની આવક દ્વારા કરી રહ્યા છે. આ સાથે દુકાન ચલાવવા પડતી અનેક મુશ્કેલીઓ અંગે પણ વારંવારની રજુઆતો છતા સંતોષકારક ઉકેલ ન આવે એ દુખદ ગણી શકાય.પુરવઠા નિગમ દ્વારા રૂટ મુજબ ડિલીવરીના આદેશની સદંતર અવગણના કરી નિયત રૂટ નક્કી કરવા જરૂરી છે.ટેન્ડર કરારનામાની શરતો મુજબ પૂરતા વાહનો પુરા પાડવા, સસ્તા અનાજની દુકાનમાં જથ્થો પહોંચાડવાની આખરી તારીખ નિર્ધારીત કરવા,મજુરીના નામે ઉઘરાવાતી ખંડણી બંધ કરવા, અન્ય ભાડાના વાહનોના બદલે માલિકીના મહત્તમ વાહનો દ્વારા ગોડાઉન ખાતેથી દુકાન સુધી જથ્થો પહોંચાડવા,ફાર આઈ જેવી આધુનિક સુવિધાઓનો અસરકારક અમલ કરાવવા, ડી.એસ.ડી.ના ઈજારદાર દ્વારા નિયમાનુસાર પ્રતિનિધિઓ નિયુકત કરવા સહિતના મુદે યોગ્ય કાર્યવાહી કરવા અંગે ઓલ ગુજરાત ફેરપ્રાઈસ શોપ એસોસીએશનના આગેવાનોએ રાજયના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવાયુ હતુ. પુરવઠા નિગમની ઉપરોકત સમસ્યાઓથી રાજયભરના દુકાનદારો ત્રાહિમામ પોકારી ગયા છે. નજીવા કમિશનથી કામ કરતા દુકાનદારોને તેમના હક્કનો જથ્થો સમયસર યોગ્ય માત્રામાં કોઈપણ પ્રકારની મંજુરી લીધા વગર સારા બારદાનમાં મળે તેવી માંગ છે તંત્ર દ્વારા આ બાબતે ઘટતુ નહિ થાય તો આગામી મે માસમાં રાજયભરના દુકાનદારો બંધ સહિતના પ્રતિક આંદોલનના મંડાણ કરવાની એસો.ના આગેવાનોએ ચિમકી ઉચ્ચારી છે.