ભાવનગરમાં નિવૃત્ત મેજરના મકાનમાંથી લાખોની મત્તા ચોરાઇ
- વરતેજ પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો
- મેજર અને તેમના પત્ની પોતાનું મકાન બંધ કરી સારવાર માટે ધંધુકા ગયા હતા
ભાવનગર: ભાવનગર શહેરના વરતેજ નજીક આવેલ ખોડીયાર નગરમાં રહેતા નિવૃત્ત મેજરના બંધ મકાનના તાળા તોડી કોઈ અજાણ્યા શખ્સો સોના ચાંદીના ઘરેણા મળી લાખોની રકમની ચોરી કરી નાસી છૂટયા હતા.
સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂપિયા ૮૦ લાખથી વધુની રકમનો દલ્લો ચોરાયો
સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના નારી ચોકડીથી આગળ નાની ખોડિયાર મંદિર પાછળ આવેલ ખોડીયાર નગરમાં પ્લોટનં ૪૫માં છેલ્લા પાંચ વર્ષથી રહેતા અને ભારતીય સેનામાં ફરજ બજાવી નિવૃતિ જીવન પસાર કરતા મેજર સેમ્યુઅલ સુંદરજી તથા તેમના પત્ની બીનાબેન સાથે રહે છે. બીનાબેન ધંધૂકા સ્થિત હોસ્પિટલમાં ફરજ બજાવે છે. આજથી ત્રણેક દિવસ પહેલા પોતાનું મકાન બંધ કરી મેજર સેમ્યુઅલ તબીબી સારવાર અર્થે ધંધૂકા ગયા હતા. અને મકાનને દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સોએ બંધ મકાનના તાળા તોડી રૂમમાં પ્રવેશી કબાટના તાળા તોડી તેમાં રાખેલ રોકડા રૂપિયા તથા સોનાના અલગ અલગ દાગીના તથા ચાંદીના દાગીના કુલ મળી લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટયા હતા.દરમિયાનમાં સવારે મેજરના સાળા તેના ઘરે ઝાડને પાણી પીવડાવવા માટે આવ્યા હતા ત્યારે ઘરમાં ચોરી થયાની જાણ થઈ હતી. આથી તેમણે તેના બનેવી મેજર સેમ્યુઅલને જાણ કરતા દંપતી ધંધૂકાથી પરત ભાવનગર ઘરે આવ્યા હતા અને વરતેજ પોલીસને જાણ કરી હતી.આ બનાવ સંદર્ભે વરતેજ પોલીસ મથકના ચાર્જમાં રહેલા પીએસઆઇ ભલગારીયાએ આ ચોરીની ઘટનાને સમર્થન આપતા જણાવ્યું હતું. નિવૃત મેજરના ઘરે ચોરીની ઘટના બની છે. પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ છે, હાલ બનાવને લઈ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.