પડાણા પાસે સર્જાયેલા ટ્રિપલ અકસ્માતના બનાવમાં ફરિયાદ નોંધાવાયા બાદ કારચાલક તેમજ ટ્રકચાલકની અટકાયત
Jamnagar Accident : જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર પડાણા ગામના પાટીયા પાસે પરમદિને સાંજે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો, અને જામનગરના બે યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જે બનાવ અંગે મેઘપર પોલીસમાં ગુનો દાખલ કરાયા બાદ પોલીસે કારચાલક અને ટ્રક ચાલકની અટકાયત કરી લઇ તેઓના વાહનો કબજે કરી લીધા છે.
જામનગરના બે યુવાનો સોહિલ વલીભાઈ શેખ અને હાજી ઉર્ફે મોહસીન શેખ રીક્ષામાં ટાઇલ્સનો જથ્થો ભરીને પરમદિને સાંજે ગાગવા ગામે જઈ રહ્યા હતા, જે દરમિયાન પડાણા નજીક પહોંચતા જામનગર તરફથી ખંભાળિયા ધોરી માર્ગે જઈ રહેલી કારના ચાલકે ખૂબ જ સ્પીડમાં આવીને રીક્ષાને પાછળથી ટક્કર મારી દીધી હતી, અને તે રીક્ષા માર્ગ પર બંધ પડેલા ટ્રક ટેન્કર સાથે અથડાઈ પડી હતી. જે સ્થળે ટેન્કર પડેલું હતું ત્યાં એક ગેરેજ આવેલું છે, જે ગેરેજના દરવાજા પર લગાવેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર અકસ્માતની ઘટના કેદ થઈ હતી. મેઘપર પોલીસે તે ફૂટેજ મેળવ્યા છે, અને ઓવર સ્પીડમાં આવેલી કારના ચાલક તેમજ બંધ પડેલા ટ્રકના ચાલક સામે ગુનો નોંધ્યો હતો.
દરમિયાન ગઈકાલે મેઘપર પોલીસ સ્ટેશનના સ્ટાફે અકસ્માત ગ્રસ્ત બનેલા ત્રણેય વાહનો કબજે કરી લીધા છે, જ્યારે કારના ચાલક રાજકોટના ભક્તિનગર સોસાયટીમાં રહેતા ધૈર્ય મગનભાઈ સુદાણી (ઉમર વર્ષ 19) ની અટકાયત કરી લીધી છે, ઉપરાંત ખંભાળિયા તાલુકાના તરગડી દેવરીયા ગામમાં રહેતા અર્જુનસિંહ માનસંગ જાડેજા નામના ટ્રક ચાલકની પણ અટકાયત કરી લેવામાં આવી છે.