બસના ડ્રાઇવરોનો બ્રીથ એનાલાઇઝરથી ટેસ્ટ થશે, નશામાં મળશે તો પોલીસ ફરિયાદ

Updated: Dec 26th, 2023


Google NewsGoogle News
બસના ડ્રાઇવરોનો બ્રીથ એનાલાઇઝરથી ટેસ્ટ થશે, નશામાં મળશે તો પોલીસ  ફરિયાદ 1 - image



- મ્યુનિ. કમિશ્નર, મેયર સીટીલિન્કા અધિકારીઓ સાથે બેઠકમાં નિર્ણય : ગ્રીનસેલ એજન્સીને બ્લેકલિસ્ટ કરાશે

        સુરત

બેફામ બનેલા બીઆરટીએસ અને સીટી બસના ડ્રાઇવરો પર અંકુશ મુકવા માટે આજે પાલિકામાં ત્રણ કલાકની મેરેથોન મીટીંગ પાલિકા કમિશ્નર- મેયર સીટીલીંકના અધિકારીઓ સાથે યોજાયા બાદ મહત્વના નિર્ણયો લેવાતા  અકસ્માતો અટકાવવા માટે દરરોજ ડ્રાઇવર-કંડકટરોની બ્રેથ એનેલાઇઝર દ્વારા તપાસ કરી રિપોર્ટ આપવાનો તેમજ નશાની હાલતમાં પકડાય કે પછી  નાના-મોટા અકસ્માત થશે તો ડ્રાઇવર સહિત એજન્સી સામે ગુનો દાખલ કરવાનો નિર્ણય લેવાયો હતો. સાથે જ એજન્સી બ્લેક લિસ્ટ કરવાનુ નક્કી કરાયુ હતુ.

સુરત મહાનગર પાલિકા દ્વારા દરરોજ મોટી સંખ્યામાં સીટીબસ અને બીઆરટીએસમાં શહેરીજનો પ્રવાસ કરી રહ્યા છે. આ બન્ને બસોના ડ્રાઇવરો દ્વારા છાશવારે એકસીડન્ટો થતા રહે છે. આથી પાલિકા દ્વારા ઝીરો એકસીડન્ટ પોલીસી બનાવવામાં આવી છે. જેમાં બસમાં કોઇ પણ પ્રકારના સામાન્ય કે ગંભીર અકસ્માતો ભવિષ્યમાં ચલાવી લેવામાં આવશે નહીં.આ પોલીસી હેઠળ આજે મળેલી બેઠકમાં પાલિકા કમિશ્નર-મેયર સહિતના અન્ય પદાધિકારીઓ, સીટીલીંકના અધિકારીઓ, બસ ઓપરેટરો અને કોન્ટ્રાકટરો સાથે ત્રણ કલાક બેઠક યોજાયા બાદ ડ્રાઇવર-કંડકટર પર અંકુશ મુકવાની સાથે એજન્સી સામે પણ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો હતો.

આ નિર્ણયમાં મુખ્યત્વે ક્રોસીંગમાં સ્પીડ લીમીટ ઝીરો થવી જોઇએ.અને સ્પીડ લિમીટ નક્કી કર્યા મુજબ જ બસ ચાલે તે માટે મોનીટરીંગ કરવાનું રહેશે. બસ સ્ટોપ સિવાય કયાંય પેસેન્જરને ઉતારવા નહીં.ડ્રાઇવર-કન્ડકટરોને સાત દિવસમાં મેડીકલ ફિટનેશનું સર્ટિફિકેટ સ્મીમેરના જવાબદાર ડૉકટર પાસેથી મેળવી રજુ કરવુ. સૌથી મહત્વનું વીજીલન્સ ટીમે બ્રેથ એનેલાઇઝર ડ્રાઇવર-કંડકટરની તપાસ કરી રોજબરોજ રિપોર્ટ બનાવી જવાબદાર અધિકારી મારફત રજુ કરવો. નશાની હાલતમાં પકડાય તો પોલીસ ફરિયાદ કરવાની રહેશે. ભવિષ્યમાં નાના-મોટા અકસ્માતો થશે તો ડ્રાઇવર સહિત એજન્સી પર ગુનો દાખલ થશે. સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી હાલનું કેરેકટર સર્ટિફિકેટ સાત દિવસમાં રજુ કરવાનું રહેશે.

અન્ય પણ મહત્વના નિર્ણયોની સાથે જ એજન્સી ગ્રીનસેલ એજન્સીને શો-કોઝ નોટીસ આપ્યા બાદ જવાબ આપ્યા પછી બ્લેક લિસ્ટની કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો હતો. આમ બસ અકસ્માતો રોકવા માટે ડ્રાઇવર, કન્ડકટર, અને એજન્સીને સાણસામાં લેવાનું નક્કી કરાયુ છે.

ટિકિટ મુસાફર પકડાય તો કન્ડકટરને કાયમી ટર્મિનેટ કરી ઉચાપતની ફરિયાદ નોંધાશે

સુરત મહાનગર પાલિકા દ્વારા દોડતી બસોમાં ઘણા કન્ડકટરો મુસાફરો પાસેથી રૃપિયા તો લઇ લે છે. પરંતુ ટિકિટ આપતા નથી કે પછી મુસાફરો પાસેથી પુરેપુરુ ભાડુ વસુલીને અડધી જ ટિકિટ આપતા હોવાની ફરિયાદો પણ ઉઠી હતી. અને વીડીયો પણ વાયરલ થયા હતા. આ ફરિયાદને લઇને આજની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો હતો કે વીજીલન્સની તપાસમાં જો કોઇ પણ ટિકિટ વગર મુલાકાતી મળે તો માત્ર કન્ડકટર જ નહીં પરંતુ એજન્સી સામે પણ પાલિકાના નાણાંકીય ઉચાપત કર્યાની પોલીસ ફરિયાદ દાખલ કરી કાયમ માટે ટર્મીનેટ કરવાનો નિર્ણય થયો હતો.

બેઠકમાં લેવાયેલા નિર્ણયો

- કર્મચારીઓને ઓછા પગાર આપવા માટે જવાબદાર સામે કાર્યવાહી કરવી

- ચોરી, ટિકિટ નહીં આપવી, મારપીટ કરવી જેવી બાબતો ધ્યાન પર આવતા ડ્રાઇવર, કન્ડકટર, એજન્સી સામે પોલીસ કાર્યવાહી થશે

- બસમાં કઇ કઇ સુવિધા, સુચના હોવી જોઇએ તેનું ચેકલીસ્ટ બનાવવુ, જવાબદાર અધિકારીની સહીથી દર મહિને ચકાસણી કરીને રિપોર્ટ તૈયાર કરવો.

- બસના ટેન્ડરોની શરતોની ચકાસણી કરવી

- જે બસમાં ડિઝીટલ બોર્ડ નથી ચાલતા તે તાકીદે ચાલુ કરવા

ભવિષ્યમાં કોઇ પણ ઘટના બને તો કેસ ટુ કેસ સહાય કંપનીના બીલમાંથી ચૂકવવામાં આવશે.

- એકસીડન્ટ કરનાર કોઇ પણ ડ્રાઇવરના લાયસન્સ સસ્પેન્સન માટે પાલિકા તરફથી કાર્યવાહી કરવામાં આવશે.

- એક વર્ષમાં બીઆરટીએસ કે સીટીબસમાં મોબાઇલ, રૃપિયાની ચોરી તથા મારામારી ગુનાઓની પોલીસ સ્ટેશનમાંથી માહિતી મેળવી કાર્યવાહી કરવી

- મીટીંગમાં એજન્સીના મુખ્ય જવાબદાર અધિકારી હાજર ના રહેતા તેઓને શો કોઝ નોટીસ આપી બ્લેક લિસ્ટ કરવાની કાર્યવાહી થશે.


Google NewsGoogle News