તણસા-વાવડી રોડ પર સાળા-બનેવીને અકસ્માત નડયો, બનેવીનું મોત
- ઘોઘા પોલીસ મથકમાં પીકઅપ વાહનના ચાલક સામે ફરિયાદ નોંધાઈ
- ઘર માટે ખરીદી કરી સાળો અને બનેવી વાડીએ જઈ રહ્યાં હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે તળાજા તાલુકાના રોજીયા ગામે રહેતા અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ શિયાળ ગતરોજ તણસા ગામે વાડી વિસ્તારમાં રહેતા તેમના બનેવી ગણેશભાઈ બીજલભાઈ મકવાણાને મળવા માટે આવ્યા હતા.બપોરે ૧૨.૩૦ કલાકના અરસામાં સાળા-બનેવી બન્ને મોટરસાયકલ લઈને ઘર માટે ખરીદી અર્થે નિકળ્યા હતા અને ખરીદી પતાવી બન્ને તણસાથી વાવડી રોડ પર ગણેશભાઈએ ભાગવી રાખેલી વાડીએ જતા હતા. ત્યારે, તણસા રોડ પર આવેલાં ભોળાનાથના મંદિર પાસે વાવડી ગામ તરફથી આવી રહેલા જીજે-૦૪-એએક્સ-૦૧૮૩ નંબરના પીકઅપ વાહન સાથે તેમનું બાઈક ધડાકાભેર અથડાયું હતું. જેના કારણે બાઈકસવાર સાળો-બનેવી રસ્તા પર ફેકાયા હતા. આ અકસ્માતના પગલે બનેવી ગણેશભાઈ બીજલભાઈ મકવાણા (ઉ.વ.૩૫)નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. તો, અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ શિયાળને ઈજા પહોંચાડતા તેમને સારવાર અર્થે ભાવનગરની સર ટી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ શિયાળે ઘોઘા પોલીસ મથકમાં જીજે-૦૪-એએક્સ-૦૧૮૩ નંબરના પીકઅપ વાહનના ચાલક વિરૂદ્ધ અકસ્માત સર્જી તેમના બનેવીનું મોત નિપજાવ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.