નેતાઓ વારંવાર મુલાકાત લે છે, પરંતુ બે વર્ષથી તૈયાર 200 કરોડની આ હૉસ્પિટલનું ઉદ્ઘાટન કરાતું નથી

Updated: Sep 19th, 2024


Google NewsGoogle News
નેતાઓ વારંવાર મુલાકાત લે છે, પરંતુ બે વર્ષથી તૈયાર 200 કરોડની આ હૉસ્પિટલનું ઉદ્ઘાટન કરાતું નથી 1 - image


BJP MP Nimuben Visit Bhavnagar's Super Specialty hospital : ભાવનગરની પ્રજાની કમનસીબી હોય તેમ એક તરફ શહેરના મધ્યમાં સ્થિત મહારાજા તખતસિંહજી સર ટી. હૉસ્પિટલના કેમ્પસમાં રૂ. 200 કરોડના ખર્ચે નવી બનેલી સુપર સ્પેશ્યાલિટી હૉસ્પિટલ બંધ હાલતમાં પડી છે. જેના કારણે દર્દીઓ સારવાર લેવા માટે અમદાવાદ જવા માટે મજબૂર બન્યા છે. હૉસ્પિટલ તૈયાર થયાને બે વર્ષથી વધુનો સમય પસાર થઈ ચૂક્યો છે અને કેટલાક રાજકીય નેતાઓ આ હૉસ્પિટલની મુલાકાત લઈ ચૂક્યા છે, પરંતુ તેનું ઉદ્ધાટન હજુ સુધી કરાયું નથી. એક નજરે જોઈએ તો આ ડબલ એન્જિન સરકારની ડબલ બેદરકારી સામે આવી રહી છે. કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબહેન બાંભણીયાએ આજે (ગુરુવાર) જ ભાવનગરની સુપર સ્પેશ્યાલિટી હૉસ્પિટલની મુલાકાત લીધી હતી. નિમુબહેને પણ અગાઉના નેતાઓની જેમ હૉસ્પિટલ વહેલી તકે શરુ કરાશે તેવો જ સરકારી જવાબ આપ્યો હતો.

નેતાઓ વારંવાર મુલાકાત લે છે, પરંતુ બે વર્ષથી તૈયાર 200 કરોડની આ હૉસ્પિટલનું ઉદ્ઘાટન કરાતું નથી 2 - image

નિમુબહેને નવી હૉસ્પિટલ ટૂંક સમયમાં શરુ થવાનું આપ્યું આશ્વાસન

ભાજપ સાંસદ નિમુબહેન બાંભણીયાએ લોકાર્પણની રાહે રહેલી ભાવનગરની સુપર સ્પેશ્યાલિટી હૉસ્પિટલની મુલાકાત લીધી છે. આ સાથે થોડા જ સમયમાં આ હૉસ્પિટલ શરુ થશે તેવી ખાત્રી પણ તેમણે આપી છે. તો નિમુબહેન બાંભણીયાની સાથે આરોગ્ય કમિશ્નર હર્ષદ પટેલ, પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, હૉસ્પિટલના અધિકારીઓ, ધારાસભ્ય, મેયર સહિતના નેતા અને અધિકારીઓ હાજર રહ્યા હતા. મહત્ત્વનું કહી શકાય કે છેલ્લા બે વર્ષથી બિલ્ડિંગ સંપૂર્ણ રીતે તૈયાર થઈને માત્રને માત્ર ઉદ્ધાટનની રાહ જોઈ રહ્યું છે, તેવામાં કેન્દ્રીય મંત્રીએ ઝડપથી હૉસ્પિટલ શરુ થવાનું ફરી એકવાર આશ્વાસન આપ્યું છે.

નેતાઓ વારંવાર મુલાકાત લે છે, પરંતુ બે વર્ષથી તૈયાર 200 કરોડની આ હૉસ્પિટલનું ઉદ્ઘાટન કરાતું નથી 3 - image

હાલ રાજાશાહી સમયના જર્જરિત બિલ્ડિંગમાં ચાલી રહી છે હૉસ્પિટલ

હાલ હૉસ્પિટલનું નવું મકાન બંધ હાલતમાં પડ્યું છે અને રાજાશાહી સમયના 150 વર્ષ જૂના અને જર્જરિત મકાનમાં હૉસ્પિટલ ચાલી રહી છે. સર ટી. હૉસ્પિટલના તમામ વિભાગોનો સમાવેશ કરતા સાત માળના મકાનને ભયજનક જાહેર કરાયું હતું. જેને લઈને 2023માં તેને ખાલી કરીને દરેક વિભાગ હૉસ્પિટલના પટાંગણમાં આવેલા અલગ અલગ બિલ્ડિંગોમાં શિફ્ટ કરાયા હતા. દર્દીઓને જે તે વિભાગમાં સારવાર માટે અલગ અલગ સ્થળોએ ધક્કા ખાવા પડે છે. આ સિવાય પાણી અને શૌચાલયની વિકટ સમસ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

નેતાઓ વારંવાર મુલાકાત લે છે, પરંતુ બે વર્ષથી તૈયાર 200 કરોડની આ હૉસ્પિટલનું ઉદ્ઘાટન કરાતું નથી 4 - image

નવી હૉસ્પિટલમાં કરોડોના સાધનો ખાઈ રહ્યા છે ધૂળ

હાલ, આ 200 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા મકાનને બે વર્ષથી પણ વધુ સમય વીતી ચૂક્યો છે, પરંતુ આ બિલ્ડિંગ લોકાર્પણના વાંકે ધૂળ ખાઈ રહ્યું છે. એટલું જ નહીં પરંતુ સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલમાં લાંબા સમયથી સીટી સ્કેન અને એમઆરઆઇ મશીન સહિતના અત્યાધુનિક સાધનો પણ ઇન્સ્ટોલ કરાઈ ચૂક્યા છે. આરોગ્ય કમિશ્નરની પણ બેદરકારી સામે આવી ચૂકી છે. જો કે, હૉસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટના અનુસાર, નવા બિલ્ડિંગમાં નવા મશીનો શરુ કરવા માટે હાલ સ્ટાફને ટ્રેનિંગ ચાલી રહી છે.

નેતાઓ વારંવાર મુલાકાત લે છે, પરંતુ બે વર્ષથી તૈયાર 200 કરોડની આ હૉસ્પિટલનું ઉદ્ઘાટન કરાતું નથી 5 - image

સ્થાનિક આરોગ્યતંત્રની પણ બેદરકારી

છેલ્લા પાંચ વર્ષથી વડાપ્રધાન, મુખ્યમંત્રી કે મંત્રી દ્વારા સરકારી બિલ્ડિંગના લોકાર્પણ પૂર્વે કોર્પોરેશન પાસેથી પ્લાન મંજૂરી અને બીયુ પરમિશનની પ્રક્રિયા ફરજિયાત બનાવી છે. જેથી પ્રધાનમંત્રી સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલના બિલ્ડિંગ માટેનો કોર્પોરેશનમાં 45 લાખનો દંડ ભરપાઈ કરી બિલ્ડિંગ યુઝ પરમિશનની પ્રક્રિયા પણ પૂરી કરી હતી તેમ છતાં હજુ સુધી લોકાર્પણ થયું નથી અને લોકોને આરોગ્યની આધુનિક સુવિધા મળતી નથી. આમ, સરકાર અને સ્થાનિક આરોગ્યતંત્રની પણ બેદરકારી સામે આવી છે. 

નેતાઓ વારંવાર મુલાકાત લે છે, પરંતુ બે વર્ષથી તૈયાર 200 કરોડની આ હૉસ્પિટલનું ઉદ્ઘાટન કરાતું નથી 6 - image

કોંગ્રેસ નોંધાવી ચૂકી છે વિરોધ

હૉસ્પિટલનું ઉદ્ધાટન ન થતાં કોંગ્રેસ મેદાને આવી હતી. તેના વિરોધમાં અનેક વખત કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરાઈ ચૂક્યો છે. ભાવનગર શહેર કોંગ્રેસે ઘોઘા ગેટ ચોકમાં રામધૂન સાથે જાહેર રોડ પર વિરોધ નોંધાવ્યો હતો. હૉસ્પિટલની પ્રતિકૃતિ સાથે વિરોધ કર્યો હતો. સાથે જ ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા, વિરોધ કરી રહેલ તમામ કાર્યકરોની પોલીસે ટીંગા ટોળી કરી અટકાયત કરી હતી.

ભાવનગરની નવી હૉસ્પિટલમાં આ ખાસ સુવિધાઓ હશે

  • 128 સ્લોટનું સીટીસ્કેન મશીન
  • અદ્યતન MRI મશીન
  • કેથલેબ
  • અદ્યતન ઑપરેશન થિયેટર
  • હિમો ડાયાલિસીસ વૉર્ડ

અંગ ટ્રાન્સપ્લાન્ટેશનની સુવિધા પણ મળશે

અંગદાન અને દેહદાનના કાર્યમાં ભાવનગર મોટો ફાળો આપતું રહ્યું છે. પરંતુ અંગદાન એટલે કે ઑર્ગન ટ્રાન્સફરની પ્રક્રિયા માટે ગ્રીન કોરીડોર રચી અંગને અન્ય શહેરોમાં મોકલવું પડે છે. સુપર સ્પેશ્યાલિટી પ્રોજેક્ટ નીચે અદ્યતન ઓપરેશન થિયેટર અને અન્ય સાધનો તથા નિષ્ણાત ડૉકટરોને કારણે ભવિષ્યમાં આ પ્રક્રિયા ભાવનગરમાં જ થઈ શકશે. ભાવનગરમાં આ સુવિધા મળતા અનેક લોકોને નવું જીવન બક્ષવામાં નિમિત્ત બનશે.

આસપાસના 3 જિલ્લાના લોકો ઉદ્ધાટનની રાહે

ભાવનગરવાસીઓ અને આસપાસના ત્રણ જિલ્લાના લોકો આ નવી હૉસ્પિટલ શરૂ થવાની રાહે બેઠા છે. કારણ કે હાલ દર્દીઓને છેક અમદાવાદ સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે. ભાવનગરની સર ટી. હૉસ્પિટલમાં સુપર સ્પેશ્યાલિટી હૉસ્પિટલનું વહેલી તકે ઉદ્ધાટન થાય અને સારવાર શરૂ થાય તો તેનો લાભ ભાવનગર, અમરેલી અને બોટાદ સહિતના જિલ્લાના દર્દીઓને મળશે.


Google NewsGoogle News