પ્રાણગઢ ગામના તળાવ પાસે રિક્ષાની અડફેટે બાઈક ચાલકનું મોત
- નગરાના રિક્ષા ચાલક સામે ફરિયાદ
- ઇજાગ્રસ્તની સારવાર કારગર નીવડેએ પહેલા મોત થતાં પરિવારજનોમાં શોક
સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાના પ્રાણગઢ ગામના તળાવ પાસે સીએનજી રિક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાઈક ચાલકનું થોડા કલાકની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃતકના ભાઈએ અકસ્માત સર્જનાર રિક્ષાના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાણગઢ ગામે રહેતા અવિનાશ ઉર્ફે જીગો ગત તા.૧૦ ફેબુ્રઆરીના રોજ બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે ગામના તળાવ પાસે વળાંકમાં સીએનજી રિક્ષાના ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક રોડની સાઈડમાં આવેલ ઝાડ સાથે ઘડાકાભેર અથડાયું હતું. જ્યારે રિક્ષા ચાલકે પણ સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા રિક્ષા રોડની સાઈડમાં પલટી મારી ગઈ હતી. અવિનાશને માથાના ભાગે હેમરેજ તેમજ પગે ફ્રેકચર જેવી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં થોડા કલાકોની સારવાર બાદ સાંજે મોત નિપજતા પરિવારજનો પર આભ તુુટી પડયું હતું. જ્યારે રિક્ષા ચાલકને પણ અકસ્માતમાં ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જે બનાવ અંગે મૃતકના મોટા ભાઈ મયુરભાઈ રૂપસંગભાઈ સાંકરીયાએ અકસ્માત સર્જનાર રિક્ષા ચાલક રવિભાઈ ભરતભાઈ વાટુકીયા (રહે.નગરા તા.વઢવાણ) સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.