મહિધરપુરાના જ્વેલરને અંબાજી રોડના કારીગરે ચૂનો માર્યો: બંગાળી કારીગર કાચુ સોનું અને રીપેરીંગના દાગીના મળી રૂ. 7.30 લાખની મત્તા સાથે છૂ
- નીમાઇ મૈતી ગોપીપુરાના ચિરાયુ એપાર્ટમેન્ટના ઘરનો સામાન રાતોરાત ખાલી કરી અન્ય બે કારીગર સાથે રફુચક્કર
સુરત
શહેરના ગોપીપુરાના અંબાજી રોડના ચિરાયુ એપાર્ટમેન્ટમાં રહેતો બંગાળી કારીગર મહિધરપુરાના જ્વેલરના સોનાના રીપેરીંગના જૂના દાગીના તથા કાચુ સોનું મળી કુલ રૂ. 7.30 લાખનો મુદ્દામાલ લઇ રફુચક્કર થઇ જતા મામલો અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.
મહિધરપુરાના નવપત એપાર્ટમેન્ટમાં જેમ્સ એન્ડ જ્વેલરીનું કામ કરતા જીનીયસ તારાચંદ મહેતા (ઉ.વ. 28 રહે. શાલીભદ્ર રેસીડન્સી, પ્રાઇમ આર્કેડની બાજુમાં, અડાજણ) એ તેના પિતાની હયાતીમાં જેમની પાસે નવા દાગીના તથા જુના દાગીના રીપેરીંગ કરાવવા આપતા હતા તે નીમાઇ તરપડા મૈતી (રહે. ચિરાયું એપાર્ટમેન્ટ, અંબાજી રોડ, ગોપીપુરા, સુરત) સાથે ધંધાકીય વ્યવહાર યથાવત રાખ્યો હતો. દરમિયાનમાં ગત 23 ફેબ્રુઆરીએ જીનીયસે તેની ફોઇ સાસુ જતનબેન જૈન, ગ્રાહક નિખીલ શાહ અને નાના ભાઇના જુના દાગીના રીપેરીંગ કરવા તથા નવા દાગીના બનાવવા નીમાઇને 40 ગ્રામ કાચું સોનું અને જૂના દાગીના ઉપરાંત કમિશનના રૂ. 30 હજાર રોકડા મળી કુલ રૂ. 7.30 લાખનો મુદ્દામાલ આપ્યો હતો. નીમાઇએ ત્રણ દિવસમાં જૂના દાગીના રીપેરીંગ કરીને આપવાનું કહ્યું હતું અને બીજા દિવસે જ દાગીના લઇને જીનીયસને તેની ઓફિસે આવ્યો હતો. જયાં જીનીયસે દાગીના ચેક કરી તેમાં સુધારો કરવા આપ્યા હતા અને બે દિવસ બાદ એટલે કે 26 ફેબ્રુઆરીએ જીનીયસે નીમાઇને દાગીના માટે કોલ કર્યો હતો. પરંતુ નીમાઇનો ફોન બંધ હોવાથી તેને શંકા જતા તુરંત જ તેના ઘરે ગયો હતો. પરંતુ નીમાઇના ઘરને તાળું મારેલું હોવાથી પડોશીઓની પૂછપરછ કરતા નીમાઇ અને તેની સાથે કામ કરતો અસીમ તથા છોટુ ગત 25 ફેબ્રુઆરીની રાતે 11 વાગ્યાના અરસામાં પોતાના ઘરનો સામાન લઇ વતન પ. બંગાળ જવા નીકળી ગયા છે.