કફ સિરપની સપ્લાયર મહિલાના આગોતરા જામીન નામંજૂર કરાયા
- કેસની માહિતી મેળવવા કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવી જરૂરી, જામીન ના મળવા જોઈએ..
- 15 દિવસ પૂર્વે એક્ટીવામાં કફ સિરપ લઈને નીકળેલા શખ્સની પૂછપરછમાં મહિલાનું નામ ખુલ્યા બાદથી ફરાર
ભાવનગર : શહેરના શ્રમજીવી અખાડા પાસેથી પંદરેક દિવસ પૂર્વે એક્ટીવામાં કફ સિરપ લઈને નીકળેલા એક શખ્સની એસઓજીએ ધરપકડ કરી પૂછતાછ કરતા આ કફ સિરપનો જથ્થો એક મહિલા આપતી હોવાનું બહાર આવ્યું હતું. જે કેસમાં ફરાર મહિલાએ આગોતરા જામીન અરજી કરતા કોર્ટે તેની આગોતરા અરજીને ફગાવી દીધી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ગત ૧૭ જાન્યુઆરીના રોજ ભાવનગર એસઓજીની ટીમે શહેરના શ્રમજીવી અખાડા નજીકથી ધાર્મિક બારૈયા નામના શખ્સને એક્ટીવામાં કફ સિરપની ૩૯૭ બોટલ, મોબાઈલ સહિત રૂા.૧,૪૪,૪૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પૂછતાછ કરતા આ કફ સિરપનો જથ્થો દેવાંગીબેન અનિલભાઈ ઉપાધ્યાય (રહે, સુંદરમ્ ફ્લેટ, ભાવનગર, મુળ બજરંગ સોસાયટી, રાણપુર રોડ, ધંધુકા) નામના મહિલા પાસેથી લાવ્યાની કબૂલાત આપી હતી. જેના આધારે એસઓજીએ બન્ને સામે એનડીપીએની કલમ ૮ (સી), ૨૧ (સી), ૨૯ વગેરે મુજબ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી મહિલાની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા હતા.
દરમિયાનમાં કફ સિરપનો જથ્થો આપનાર મહિલા દેવાંગીબેન ઉપાધ્યાયે આગોતરા જામીન મેળવવા માટે તેના વકીલ મારફત ભાવનગરના ત્રીજા એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં અરજી કરતા આ અંગેની સુનવણી ગઈકાલે શનિવારે ચાલી હતી. જેમાં અરજદાર મહિલાના વકીલે આરોપો ખોટા અને ઉપજાવી કાઢ્યા હોવા સહિતની રજૂઆત કરી હતી. જ્યારે સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ મનોજભાઈ આર. જોષીએ આગોતરા જામીન અરજીનો વિરોધ કરી અરજદાર મહિલા અન્ય સહઆરોપી સાથે ગુનામાં સામેલ છે અને તેણી સામે પ્રથમદર્શી કેસ છે. વધુમાં આ કેસની તપાસ ચાલી રહી છે, અરજદારને કસ્ટડીમાં લઈ ભૌતિક માહિતી મેળવવા પૂછપરછ જરૂરી છે. જો આગોતરા આપવામાં આવે તો આગળની તપાસ-કાર્યવાહીના કેસમાં પણ અવરોધ બની શકે છે, માટે જામીન ના મળવા જોઈએ. બન્ને પક્ષની રજૂઆતોને ધ્યાને લઈ ન્યાયમૂર્તિ એમ.બી.રાઠૌરે મહિલા દેવાંગીબેન ઉપાધ્યાયની આગોતરા જામીન અરજીને નામંજૂર કરી હતી.