ભુજ સ્વામીનારાયણ મંદિર પાછળના પુલીયા નીચે અજાણ્યા શખ્સનો આપઘાત
ખાવડાની કંપનીમાં ટાવર નીચે પટકાતાં એક શ્રમજીવીનું મોત બીજો ઘાયલ
પ્રાપ્ત વિગતો મુજબ ભુજના નૂતન સ્વામીનારાયણ મંદિર પાછળ આવેલા પુલીયા નીચેથી મંગળવારે સવારે આઠ વાગ્યાના અરસામાં ૫૦ વર્ષનો એક અજાણ્યો પૂરૂષ દુપટ્ટા વળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. એ ડિવિઝન પોલીસને જાણ થતાં તાત્કાલિક સ્થળ પરથી હતભાગી અજાણ્યા શખ્સને નીચે ઉતારીને જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. મરણજનાર યુવકની ઓળખ અને તેણે આત્મહત્યા કયા કારણે કરી તે સહિતની વિગતો જાણવા એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ આર.એન.વાડલેએ હાથ ધરી છે. તો, મંગળવારે સવારે ખાવડા ખાતે અદાણી ગ્રીન કંપનીના પવનચક્કીના થાંભલા પર ચડીને કામ કરી રહેલા લુનારામ જગદીશ નાયક (ઉ.વ.૩૧) અને બીરેનકુમાર શ્રીલાલુ યાદવ અકસ્માતે નીચે પટકાયા હતા. બન્ને ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાં લુનારામ નાયકને માથાના ભાગે વધુ ઇજા હોવાથી પ્રથમ સારવાર અદાણી ગ્રીન ખાવડા હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં હાજર પરના તબીબે સવારે બાર વાગ્યે મૃત જાહેર કર્યો હતો. જ્યારે બીરેનકુમારને સારવાર હેઠળ દાખલ કરાયો છે.ખાવડા પોલીસે બનાવની નોંધ લઇને આગળની તપાસ હાથ ધરી છે.