'ગોંડલ, સ્વાગતની તૈયારી કરો'.. ગણેશ જાડેજાની ચેલેન્જ સ્વીકારી પાટીદાર યુવાનો પહોંચશે
Ganesh Gondal Vs Alpesh Kathiriya : ગોંડલના રાજકારણમાં મેદાન જંગ થવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. છેલ્લા કેટલાક સમયથી ગણેશ જાડેજા (ગોંડલ) અને અલ્પેશ કથિરિયા વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યું છે. જેના લીધે ગોંડલના રાજકારણમાં ગરમાયો આવ્યો છે. ત્યારે MLA પુત્ર ગણેશ ગોંડલે બે દિવસ પહેલાં આડકતરી રીતે અલ્પેશ કથિરિયા અને વરૂણ પટેલને ગોંડલ આવવાની વાત કરી હતી. જેને લઇને હવે અલ્પેશ કથિરિયાએ ચેલેન્જ સ્વીકારતાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું છે કે “ગોંડલ, સ્વાગતની કરો તૈયારી”... આખા ગોંડલમાં ફરવા આવીએ છીએ. તો બીજી તરફ વરૂણ પટેલે કહ્યું હતું કે ગોંડલમાં પાટીદાર યુવક પર અત્યાચાર થયો. ગુજરાત સરકાર ગુંડાઓ સામે અભિયાન ચલાવે છે તો ગોંડલમાં પણ આવું અભિયાન ચલાવાય.
માનું ધાવણ ધાવ્યાં હો તો આવી જાઓ મેદાનમાં: ગણેશ ગોંડલ
બે દિવસ પહેલાં સુલતાનપુરમાં યોજાયેલી એક જાહેરસભામાં ગણેશ ગોંડલે ચીમકી ઉચ્ચારતો ખુલ્લો પડકાર ફેંક્યો હતો. આ પડકાર આડકતરી રીતે અલ્પેશ કથિરિયા અને વરૂણ પટેલ માટે હતો. ગણેશ ગોંડલે કહ્યું હતું કે હું અને અલ્પેશ ઢોલરિયા ગોંડલમાં જ રહીએ છીએ. માનું ધાવણ ધાવ્યાં હો તો આવી જાઓ મેદાનમાં. મારી ગાડી 2 વાગે ગોંડલમાં જોવા મળશે. જો હિંમત હોય તો કાર્યકર્તાઓનો કોલર પણ પકડીને બતાવો, હું વાવાઝોડાની જેમ ન આવું તો કહેજો... 200 કિલોમીટર દૂરથી વીડિયો બનાવીને રમત ન રમશો. આ કાર્યક્રમમાં ગણેશ ગોંડલે અલ્પેશ કથિરિયા, વરૂણ પટેલ, મેહુલ બોઘરા અને જિગીશા પટેલ વિરૂદ્ધ નારા લગાવ્યા હતા.
સામૈયું તૈયાર રાખજો, અમે ગોંડલ આવી રહ્યા છીએ: જિગીશા પટેલ
જિગીશા પટેલે પણ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને ગણેશ ગોંડલના પડકારનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે 'આશા છે કે આ જાહેરાત પછી તમને ઉંઘ તો આવી હશે, સુલતાનપુરથી ફેંકાયેલા પડકારને સ્વીકારી આવતીકાલે 27 એપ્રિલને રવિવારના રોજ અલ્પેશભાઇ કથિરિયાની આગેવાનીમાં અમે લોકો ગોંડલમાં ફરવા આવીએ છીએ. અપેક્ષા એવી પણ છે તમે તમારા પપ્પાને કહી... નગરપાલિકાનો ટેકો લઇ જેસીબીથી રોડ ખોદી ન નાખતા... ખાડા ખોદી ન નાખતા. જેવી રીતે દલિત સમાજના આગમન વખતે કર્યું હતું. ગોંડલના દરવાજે મહેમાનોના સ્વાગત માટે તમે સામૈયુ લઇને મેં કીંધુ તે પ્રમાણે તૈયાર રહેજો. રાત્રે 2 વાગે નહી પણ ધોળે દિવસે તમને દેખાય તે રીતે ગોંડલમાં આવી રહ્યા છીએ.
જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોનું સ્વાગત કરવા જનતા તૈયાર
છેલ્લા કેટલાક સમયથી પાટીદાર VS જાડેજા વચ્ચે જુથવાદ અને વાકયુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે અલ્પેશ કથિરિયા અને જિગીશા પટેલને જવાબ આપતાં ગણેશ જાડેજાએ લખ્યું કે ''ગોંડલને બદનામ કરનારનું સ્વાગત કરવા માટે ગોંડલની અઢારેય વરણની જનતા તૈયાર છે. જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોનું સ્વાગત કરવા જનતા તૈયાર છે.