વરસાદની સાથે જ જેતપુરનાં સાડીના કારખાનેદારોએ દૂષિત પાણી વહાવ્યું!

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
વરસાદની સાથે જ જેતપુરનાં સાડીના કારખાનેદારોએ દૂષિત પાણી વહાવ્યું! 1 - image


પાંચ પીપળા રોડના રહેવાસીઓ દુષિત પાણીથી પરેશાન : પેઢલાના સીમ વિસ્તારના વોંકળામાં દૂષિત પાણી આવતા ખેડૂતોને ઉભો મોલ બળી જવાની ચિંતા : પ્રદૂષણ નિયંત્રણ તંત્ર સામે રોષ

જેતપુર, : જેતપુરના સાડી ઉદ્યોગકારોએ પ્રદૂષણ બાબતે સમગ્ર જુનાગઢ-પોરબંદર, જેતપુર, ધોરાજી, માણાવદર પંથકને બાનમાં લીધો છે. જ્યારે વરસાદ આવે ત્યારે સાડીના કારખાનેદારો કેમિક્લયુક્ત પાણી વોંકળા, નદીમાં ઠાલવી દેતાં હોવાથી ખેતીવાડી તેમજ જનતાને ખૂબ જ મુશ્કેલી પડે છે. તાજેતરમાં પાંચ પીપળા રોડ, પેઢલા વગેરે ગામોના વોંકળાઓમાં કેમિકલયુક્ત પાણી ઠાલવી દેતા ખેડૂતો ઉકળી ઉઠયા છે અને પગલાં લેવાની માંગણી કરી રહ્યા છે.

જેતપુરમા વરસાદ પડયો કે અમુક લેભાગુ કારખાનેદારોએ પોતાના કારખાનાનું પ્રદુષિત પાણી રોડ પર જ વહાવી દઇને નિકાલ કર્યાનો સંતોષ માની લેતાં પાંચપીપળા રોડ પર વિસ્તારના લોકોમાં ભારે રોષ છવાયો હતો જ્યારે પેઢલા ગામની વાડી વિસ્તાર ની સીમમાં અંદાજે અઢી કિલોમીટર વાડીઓના વોકળામાં વરસાદી પાણી છોડી દેવામાં આવતા ખેડૂતો તેમજ નદીમાં આ પાણી ભળતા ગામના ખેડૂતોમાં રોષ જેતપુરમા સાડી પ્રિન્ટીંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા કેટલાક પ્રદુષણ માફિયાઓ જેવો વરસાદ શરૂ થાય કે તુરંત જ વરસાદના વહેતા પાણીની આડમાં પોતાના સાડીના કારખાનાનું કેમિકલયુક્ત પ્રદુષિત પાણી જાહેર માર્ગો પર વહેતુ કરી દેવાના કિસ્સાઓ શહેરીજનો અને ગ્રામ્ય પંથકના લોકો માટે અને જીપીસીબી માટે સામાન્ય થતા જાય છે.

શહેરના જૂના પાંચપીપળા રોડ પર સ્થાનિકોના આક્ષેપ પ્રમાણે અહી આવેલા એક સાડીના કારખાનેદારે વરસાદ આવતાની સાથે જ પોતાના યુનિટનુ ગંદુ કેમિકલ યુક્ત પ્રદુષિત પાણી જાહેર માર્ગ પર વહેતુ કરી દેતા આ વિસ્તારમાં આવે જનતાનગરમાં ફેલાયું હતું અને પાણી ઘરો સુધી પહોંચ્યું હતું જ્યારે ડાઇંગ એંડ પ્રિન્ટિંગ એસોસિએશનના નિયમ પ્રમાણે આ પાણી ટેન્કરો મારફતે એસોસિએશન સંચાલિત પોલ્યુટેડ વોટર ટ્રીટમેંટ પ્લાન્ટ પર પોતાના ખર્ચે અને જવાબદારીએ પહોંચાડવાનું હોય છે. પરંતુ વરસાદની સાથે વહેડાવી દેતા લોકો પરેશાન થયા હતા અને આક્ષેપો પણ કર્યા હતા. આ પાણીથી લોકોના સ્વાસ્થય અને ચામડીના રોગો થવાના સંભાવનાઓ રહેલી છે.  સ્થાનિકોએ જીપીસીબી તંત્ર પર આક્ષેપો કર્યા હતા અને અધિકારીઓ પણ આમાં સંડોવાયેલા હોય તેવું જણાવ્યું હતું આજ રીતે પેઢલા ગામના રેવન્યુ વિસ્તારમાં આવેલા કારખાનેદાર દ્વારા વાડીઓ પાસેથી પસાર થતાં અઢીથી ત્રણ કિલોમીટર લાંબા વોકળામાં આ પ્રદૂષણ અને કેમિકલ યુક્ત પાણી છોડી દેવામાં આવતા ખેડૂતોમાં રોષ વ્યક્ત કર્યો હતો ખેડૂતના જણાવ્યા પ્રમાણે છેલ્લા 5 વર્ષની જૂની સમસ્યા છે આજે ખેડૂતોએ જાતે સ્થળ પર પહોંચી વોકળામાં પ્રદૂષણ યુક્ત પાણી છોડી દેનાર કારખાને દારને પકડી પાડયો હતો.ત્યારે આ બનાવ સ્થળે જીપીસીબી તંત્રને ફોન કરતાં અધિકારી દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવ્યા હતા. કે મારી પાસે હાલ ગાડી નથી ત્યારે ખેડૂતોમાં તંત્ર પર પણ રોષ જોવા મળી રહ્યો હતો.


Google NewsGoogle News