MSUમાં FY B.Com.માં એડમિશન અંગે વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ વેરીફીકેશન અંગે VCની મનમાનીના આક્ષેપો
Image Source: Twitter
વડોદરા, તા. 25 સપ્ટેમ્બર 2023, સોમવાર
એફવાય બીકોમમાં પ્રવેશ બાબતે મ.સ. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિદ્યાર્થીઓના વર્ષ 2023-24ના ડોક્યુમેન્ટસની ચકાસણીમાં પોતાની મનમાની ચલાવી રહ્યા હોવાના આક્ષેપ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવ્યા છે.
આ અંગે પ્રથમ વર્ષના એડમિશનથી વંચિત વિદ્યાર્થીઓ વાલીઓ સહિત એનએસયુઆઈના અગ્રણીઓ સહિત અંદાજિત સો જેટલા વાલીઓ વિદ્યાર્થીઓએ વીસીને આવેદનપત્ર સુપ્રત કરીને વિદ્યાર્થીઓના બગડતા ભવિષ્યને અટકાવવા બાબતે રજૂઆત કરી હતી.
ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષ ધો. 12માં 45 ટકા મેળવનાર તમામ વિદ્યાર્થીઓને અચૂક પ્રવેશ મળશે એવી જાહેરાત દ્વારા કરવામાં આવી હતી. જ્યારે બીજી બાજુ ધો-12ના ડોક્યુમેન્ટ્સ માં કોઈ નાની મોટી ભૂલ હોય તો જે તે સ્કૂલમાં જઈને સુધારીને લઈ આવો ત્યારબાદ જ તમારા ફોર્મ બાબતે આગળની કાર્યવાહી થઈ શકશે તેવું સ્પષ્ટ જણાવ્યું બધે કોઈ સમય મર્યાદા વીસી દ્વારા આપવામાં આવી ન હતી. પરંતુ હવે જ્યારે વિદ્યાર્થીઓ પોતાના ક્ષતિગ્રસ્ત ડોક્યુમેન્ટ્સ ની તમામ ક્ષતિઓ સુધારીને સ્કૂલમાંથી પરત આવી કોલેજમાં ગયા હતા ત્યારે તેમને વીસી દ્વારા નંન્નો ભણી દેવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે આ બાબતની તમામ સત્તા ચાંસેલર રાજમાતા પાસે છે. હવે આમાં મારાથી કાંઈ થઈ શકે એમ નથી.
આ બાબતે જાણ થતા એનએસયુઆઈના પ્રમુખ તથા વિદ્યાર્થી આગેવાનો સહિત તમામ વાલીઓ તથા અન્ય વિદ્યાર્થી ઓ સાથે મળીને અંદાજિત 100 જેટલા વિદ્યાર્થીઓ પરિવારજનો અને વિદ્યાર્થી નેતાઓ આજે વાઈસ ચાન્સેલરને રૂબરૂ મળ્યા હતા અને વિદ્યાર્થીઓના બગડતા ભવિષ્યને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે ઘટતું કરવા જણાવી આવેદનપત્ર તેમને સુપ્રત કર્યું હતું.
એનએસયુઆઈ દ્વારા માંગ કરવામાં આવી છે કે, યુનિવર્સિટી દ્વારા ફરી વિદ્યાર્થીઓને તારીખ-સમય આપવામાં આવે જેથી એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકે જેથી વિદ્યાર્થીઓનું 1 વર્ષ બગડે નહિ.
અગાઉ પણ એનએસયુઆઈએ યુનિવર્સિટી માં ઉચ્ચકક્ષાએ ઠેક ઠેકાણે રજૂઆતો કરી હતી. વાઇસ ચાન્સેલરને પણ આ બાબતે પણ રજૂઆત કરી પણ અમારી માંગ સ્વીકારવામાં આવી નહીં.જ્યાં સુધી અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાંસુધી સતત આંદોલન ચાલુ રહેશે તેમ જણાવીને યુનિવર્સિટી વાઈસ ચાન્સેલર કચેરીએ આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.