વિશ્વામિત્રી નદી પહોળી કર્યા બાદ માટી ધોવાણ થાય નહીં તેને ધ્યાનમાં રાખી તજજ્ઞોની મદદ લઈ વૃક્ષો અને ઘાસ લગાવવામાં આવશે : મ્યુનિ. કમિશનર અરુણ બાબુ
Vadodara Vishvamitri Project : વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને ઊંડી તથા પહોળી કરવાની ચાલતી કામગીરી વધુ ઝડપથી કરવાની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. હાલમાં આઠ કલાકની ચાલતી કામગીરી વધીને 12 કલાક અને જરૂર પડે 24 કલાક ચાલુ રહે તેવી ઝડપ કરવાની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ હોવાનું મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ વિશ્વામિત્રીના સ્થળ નિરીક્ષણ દરમિયાન જણાવ્યું હતું. પ્રભુને પ્રાર્થના કરીએ કે હવે વિશ્વામિત્રી નદીમાં અગાઉના જેવું પૂર આવે નહીં.
તેમણે જણાવ્યું હતું કે નદી પહોળી કરવાની કામગીરી દરમિયાન જે માટી ખોદકામ કરવામાં આવી છે તેનું ફરી ધોવાણ થાય નહીં તેને ધ્યાનમાં રાખી ધોવણ થતું અટકાવવા તજજ્ઞોની મદદ લઈ વૃક્ષો કે ઘાસ લગાવવુ તેની ખાસ તકેદારી રાખવામાં આવશે.
કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા એ વિશ્વામિત્રી નદી કાંઠાના વિસ્તાર અંગે રજૂઆત કરી હતી જેને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓને સૂચના આપી હતી કે જૂના નવા કોર્પોરેટરો હોય તેઓના સૂચનો લઈ જે કોઈ કામગીરી કરાવવાની હોય તે કરાવવાની રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વામિત્રી નદીની ચાલતી કામગીરી ચોમાસા અગાઉ પૂરી થાય અત્યંત જરૂરી છે. તંત્ર પાસે જેટલા રિસોર્સિસ છે એ તમામ કામે લગાડવામાં આવ્યા છે. આગામી દિવસોમાં વિશ્વામિત્રી નદીની ઊંડાઈ અને પહોળાઈ વધારવા હાલ ચાલતી કામગીરી આઠ કલાકની છે જે આગામી દિવસોમાં 24 કલાક સુધી યુદ્ધના ધોરણે ચાલશે હવે આપણી પાસે ખૂબ જ ઓછા દિવસો છે.
મ્યુ. કમિશનરની વિશ્વામિત્રીની નદીની મુલાકાત વખતે પાલિકાના મેયર પિન્કીબેન સોની સહિત અન્ય પદાધિકારીઓ તથા પાલિકાના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ તમામ સાથે મ્યુ કમિશનરે વિશ્વામિત્રી બાબતે જરૂરી ચર્ચા વિચારણા પણ કરી હતી.