પાદરા તાલુકામાં કેમિકલ કંપની ખોલ્યા બાદ મિત્ર સાથે એનઆરઆઈ સહિત ત્રણની છેતરપિંડી

Updated: Aug 23rd, 2024


Google NewsGoogle News
પાદરા તાલુકામાં કેમિકલ કંપની ખોલ્યા બાદ મિત્ર સાથે એનઆરઆઈ સહિત ત્રણની છેતરપિંડી 1 - image


પાદરા તાલુકામાં ગ્લાયસીન એક્સપોર્ટ કરવા માટે મિત્રોએ કંપની ખોલી હતી અને બેંકમાંથી મોટી રકમની લોન લીધાં બાદ મિત્રો વચ્ચે ખટરાગ બાદ એક મિત્રે બેંક લોનની રકમ સગેવગે કરી દીધા બાદ ધમકી આપતા મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.

જયેશચંદ્ર શાંતિલાલ અજયભારતી (રહે. સુર્યવિલા, વિનુકાકા માર્ગ, આણંદ) એ વડું પોલિસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે 7 વર્ષથી ઇમ્પોર્ટ-એક્સપોર્ટનો ધંધો કરું છું કોલેજ મિત્ર હિતેષ હર્ષદભાઇ પટેલ (હાલ રહે. અમેરિકા, ન્યુ જર્સી) વર્ષ - 2016 માં ભારત આવ્યા હતા અને પાદરાના દુધવાડા ખાતે સ્ફીયર સ્પેશિયાલીટી કેમિકલ્સ પ્રા.લી. નામની કંપની શરૂ કરી હતી. જેમાં તે ડાયરેક્ટર હતા. તે વખતે બંનેનો સંપર્ક થયો હતો અને ભાગીદારીમાં કંપની ઉભી કરીને ગ્લાયસીન કેમિકલ અમેરિકા એક્સપોર્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

હિતેશ પટેલની દિકરી રવેચીને સાથે રાખીને સારી ફાર્માકેમ પ્રા. લી. નામની કંપની ખોલવામાં આવી હતી. જેની રજીસ્ટર્ડ ઓફીસ સુર્યવિલા આણંદ ખાતે રજીસ્ટર કરાવવામાં આવી હતી. કંપનીમાં ત્રણ શેર હોલ્ડર હતા. હિતેષભાઇ 98.99 ટકા, જયેશચંદ્ર 0.61 ટકા અને રવેચી 0.41 ટકા ના ભાગીદાર હતા. હિતેષ પટેલની માલિકીની સ્ફીયર સ્પેશિયાલીટી કેમિકલ્સ (પાદરા) ની 18 એકર જમીનમાં મેજોરીટી શેર હોલ્ડીંગ તેમનું હતું તે પૈકી 9 એકર જમીનને વેચાણ દસ્તાવેજથી સારા ફાર્માકેમ પ્રા.લી.ના નામે કરી હતી. અને કંપનીનું કામકાજ તે સ્થળે ચાલુ થયું હતું.

સારી ફાર્માકેમ પ્રા. લી. માં મેજોરીટી શેર હોલ્ડર હિતેષભાઇ પટેલે કંપનીના ડાયરેક્ટર અને અધિકારીઓની નિમણુંક કરી હતી. જેમાં સ્ફીયર સ્પેશિયાલીટી કેમિકલ પ્રા. લી. ના સ્વતંત્ર ડાયરેક્ટર રષેશ બળવંતરાય ઠાકરને સારી ફાર્માકેમ પ્રા. લી.માં સ્વતંત્ર ડાયરેક્ટર, કમલેશકુમાર અંબાલાલ પરમારને ચીફ ફાઇનાન્શિયલ ઓફીસર, રંજીતા કમલેશ પરમારને મુનીમજી તથા ઉજૈશ તૈરયાને ઓડીટર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે સારા ફાર્માકેમ પ્રા. લી.માં વર્ષ 2021 માં નિમણુંક કરવામાં આવી હતી. જો કે, ત્યાર બાદ જરૂરી પરવાનગી ન મળતા ગ્લાયસીનનું ઉત્પાદન થઇ ન શકતાં ટ્રેડીંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અને અમેરિકામાં એક્સપોર્ટ કરીને ધંધો વિકસાવવાની દિશામાં વાતચીત આગળ વધી હતી.

નાણાંની જરૂરીયાત પડતા હિતેષભાઇએ કહ્યું કે, મારી ભારતમાં કોઇ મિલકત નથી. મને કોઇ બેંક લોન આપશે નહીં જેથી મેં મારો બંગલો અને જમીન ગીરવી મુકીને ઓવર ડ્રાફ્ટ લઇ રૂ.5.25 કરોડની લોન લઈ નાણાં કંપનીના એકાઉન્ટમાં જમા કરાવવામાં આવ્યા હતા. તે પૈકી રૂ. 2.30 કરોડ સ્ફીયર સ્પેશિયાલીટી કેમિકલ પ્રા. લી. ના ખાતામાં જમા કરાવ્યા હતા.

કંપની માટે લીધેલી વર્કિંગ કેપીટલની લોન પૈકીના રૂ. 2.30 કરોડ સ્ફીયર સ્પેશિયાલીટી કેમિકલ પ્રા. લી. માં ટ્રાન્સફર કર્યા હતા. જે કંપનીમાં ટ્રાન્સફર કરાયા તેના ખાતા ધારક હિતેષ પટેલ પોતે જ હતા. આ અંગે પણ મને કોઇ જાણ કરવામાં આવી ન હતી. વર્ષ 2023માં અમેરિકાથી રૂ.1.61 કરોડનો ગ્લાયસીનનો જથ્થો આયાત કર્યો હોવાનું જણાવ્યું હતું. જો કે, અમેરિકા ભારતમાં ગ્લાયસીનની નિકાસ કરતું નથી. છતાં ખોટી હકીકતો દર્શાવીને પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ રૂ. 54.40 લાખ વિવિધ ટ્રાન્ઝેક્શન થકી અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જે અંગે એકાઉન્ટન્ટને પુછતા તેણે કોઇ સંતોષકારક જવાબ આપ્યો ન હતો.

રૂ. 5.25 કરોડની લોનનો દુરઉપયોગ કરવામાં આવ્યો હોવાનું ધ્યાને આવ્યા બાદ પુછપરછ કરતા મારી પુત્રીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે હિતેષભાઇ હર્ષદભાઇ પટેલ ( મુળ રહે. આણંદ) (હાલ રહે. અમેરિકા સનસ્ટોન), રષેશ બળવંતરાય ઠાકર (રહે. વિવેકાનંદ સોસાયટી, આણંદ, વિદ્યાનગર) અને કમલેશકુમાર અંબાલાલ પરમાર (રહે. વલ્લભ વિદ્યાનગર) સામે વડું પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે.




Google NewsGoogle News