દિલ્હી એઈમ્સના ન્યુરો સર્જનના આપઘાત બાદ મૃતદેહ રાજકોટ આવી પહોંચતા અંતિમવિધિ
પરિવારજનોના આક્રંદ સાથે અંતિમયાત્રા : દવાના ઓવરડોઝ લઈને જીવનદોરી ટૂંકાવી દેનાર ડો.રાજ ધોણીયા 15 દિવસ પહેલા જ અમેરિકામાં ટ્રેનિંગ લઈ પરત ફર્યા હતાઃ સ્યુસાઈડ નોટનાં આધારે પોલીસ તપાસ
રાજકોટ, : પવિત્ર શ્રાવણ માસમાં એક બાજુ તહેવારોની ઉજવણી સાથે લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળે છે ત્યારે બીજી બાજુ આપઘાતનાં વધતા જતા બનાવોથી પરિવારોમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે. રાજકોટનાં રહેવાસી એવા ડો. રાજ ધોણીયાએ ગઈકાલે દવાનો ઓવરડોઝ લઈને દિલ્હીમાં જીવનદોરી ટૂંકાવી દીધા બાદ આજે સદ્દગતનો મૃતદેહ અહી રાજકોટ આવી પહોંચતા પરિવારજનોમાં કલ્પાંતનાં દ્રશ્યો જોવા મળ્યા હતા. દિલ્હી એઈમ્સમાં ફરજ બજાવતા હોનહાર તબીબ ડો.રાજ ધોણીયાની અંતિમ વિદાય પરિવારજનો માટે આઘાતજનક બની રહી હતી. સદ્દગતનાં નિવાસસ્થાનેથી મોડી રાત્રિનાં અંતિમયાત્રા નીકળી ત્યારે અનેક લોકોની આંખોમાં આંસુના તોરણ બંધાયા હતા.
રાજકોટના રાજનગર ચોક નજીક આવેલી કર્મચારી સોસાયટીમાં રહેતા ડો.રાજ ધોણીયા એક તેજસ્વી વિદ્યાર્થી તરીકે રાજકોટમાં ભણીને મધ્યપ્રદેશનાં ઉજ્જૈનમાં તબીબી વિદ્યાશાખાનો ઉચ્ચ અભ્યાસ કરી દિલ્હી એઈમ્સમાં ન્યુરો સર્જન તરીકે જોડાયા હતા. દિલ્હીનાં ગૌતમનગર વિસ્તારમાં રહેતા ડો.રાજ ધોણીયા (ઉ.વ. 34) ગઈકાલે તેમનાં નિવાસસ્થાનેથી બેભાન હાલતમાં મળી આવ્યા બાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે દોડી જઈ ડો.ધોણીયાનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ડો.ધોણીયાએ દવાનો ઓવરડોઝ લઈને જીવન ટુંકાવ્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસને તપાસ દરમિયાન એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં મારા આપઘાત માટે કોઈ જવાબદાર નહીં હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પોલીસે બનાવની જાણ રાજકોટ સ્થિત પરિવારજનોને કરતાં પરિવાર દિલ્હી દોડી ગયો હતો. પરિવારજનોનાં જણાવ્યા મુજબ ડો.રાજ છ મહિના પહેલાં જ અમેરિકામાં ટ્રેનિંગ પુરી કરી પરત ફર્યા હતા. તેમના પત્ની પણ દિલ્હીમાં ખાનગી હોસ્પિટલમાં માઈક્રો-બાયોલોજીસ્ટ તરીકે સેવા આપતા હતા. રક્ષાબંધનનું પર્વ હોવાથી તેઓ રાજકોટ આવ્યા હતા. પાછળથી ડો.રાજે આત્યંતિક પગલું ભરી લીધું હતું.
ગઈકાલે ડો.રાજનાં પત્ની રાજકોટથી દિલ્હી ડો.રાજનો ટેલિફોનિક સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ ફોન નહી લાગતા પરીચિત મહિલા તબીબને ઘેર જઈ સંપર્ક કરવા જણાવ્યું હતું. પરંતુ ઘેર દરવાજો બંધ હોવાથી અન્ય લોકોની મદદથી દરવાજો તોડીને ઘરની અંદર જતાં ડો.રાજ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેથી તુરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં દિલ્હી એઈમ્સનાં તબીબો અને મિત્ર વર્તુળોમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ હતી. દરમિયાન આજે ડો.રાજ ધોણીયાનાં મૃત્દેહને લઈને મોડી રાત્રિનાં પરિવારજનો રાજકોટ પરત ફર્યા બાદ તેમનાં નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નીકળી ત્યારે હૈયાફાટ રૂદનનાં દ્રશ્યો સર્જાયા હતા. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં રાજકોટનાં તબીબો સહિત પરીચિતો, મિત્રવર્તુળ અને સગા-સંબંધીઓ જોડાયા હતા.