58 લાખના દાગીના અને રોકડા 71 લાખ આપવા છતાંય પરિણીતા પાસે વધુ દહેજની માંગણી કરી ત્રાસ

Updated: Aug 4th, 2024


Google NewsGoogle News
58 લાખના દાગીના અને રોકડા 71 લાખ આપવા છતાંય પરિણીતા પાસે વધુ દહેજની માંગણી કરી ત્રાસ 1 - image


Image Source: Freepik

દીકરીનો સંસાર સારી રીતે ચાલે તે માટે પિતાએ 1.29 કરોડ આપવા છતાંય પતિ, સાસુ અને સસરા દ્વારા ત્રાસ આપવામાં આવતા છેવટે પરિણીતાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી છે.

માંજલપુર સનસિટિ સોસાયટીમાં રહેતી નેહાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે  કે, વર્ષ - 2020માં શાદી ડોટ કોમ પરથી મારો સંપર્ક અંકિત રંજન જવાહરકુમાર અગ્રવાલ સાથે થયો હતો. બે - ત્રણ મહિના અમે વોટ્સએપ પર વાતો કરતા હતા. ત્યારબાદ અમે અમારા પરિવારને વાત કરી હતી. ત્યારબાદ અંકિત, તેના પિતા જવાહરકુમાર તથા માતા આમ્રપાલી ( તમામ રહે. નવાગર્ગ હાઉસ, કેમ્પસ ઇતકી રોડ, ઝારખંડ) અમારા ઘરે આવ્યા હતા. અમે તા. 28-05-2021ના  રોજ મેરેજ રજીસ્ટર્ડ કર્યા હતા. લગ્ન પછી હું સાસરીમાં રહેવા ગઇ હતી. મારા  પિતાએ લગ્નમાં 58 લાખના દાગીના આપ્યા હતા. તે લોકરમાં મૂકી દીધા હતા. મારા  પતિને મકાન લેવાનું હોઇ તેમણે મારા પિતા પાસે રૃપિયાની માંગણી કરતા મારા પિતાએ 71 લાખ આપ્યા હતા. થોડા સમય પછી મારા સાસુ - સસરા મારી સાથે ઝઘડો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપવા લાગ્યા હતા. મારા પતિ પણ મને ત્રાસ આપતા હતા. પરંતુ, સંસાર ના બગડે તે હેતુથી હું ત્રાસ સહન કરતી  હતી. તેઓ મારી  પાસે વધુ દહેજની માંગણી કરતા હતા. તેઓએ લોકરમાં મૂકેલા દાગીના પણ મને પરત આપ્યા નથી.  મારી સાસરીવાળાએ મને ઘરની બહાર કાઢી મૂકતા હું  પિયરમાં આવી ગઇ હતી. તેઓ મને આજદિન સુધી તેડવા આવ્યા નથી.


Google NewsGoogle News