વાઘોડિયા મેન રોડ પર ખોદકામ બાદ માટી નાખીને ડામર પાથરી દેતા રોડ બેસી ગયો
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી, ગટર, રોડ અથવા વરસાદી ગટરના જે કામો કરવામાં આવે છે, તેમાં કામગીરી કોન્ટ્રાક્ટરના ભરોસે છોડી દેવાતા વેઠ ઉતારવામાં આવે છે .જેના લીધે છેવટે નુકસાન કોર્પોરેશનને જ થાય છે. જેમાં એકની એક કામગીરી ફરી પાછી કરવાનો વારો આવે છે. કોન્ટ્રાક્ટરને કામ સોંપ્યા બાદ તે બરાબર કરે છે કે નહીં તે માટે નિરીક્ષણ અર્થે કોર્પોરેશનના એન્જિનિયર અથવા જવાબદાર અધિકારી પણ હાજર રહેતા નથી. કોર્પોરેશનમાં મળતી સભાઓમાં કોર્પોરેટરો પણ અવારનવાર આ અંગે ફરિયાદો કરતા રહે છે, પરંતુ રજૂઆતોની કોઈ અસર થતી નથી. ઇજારદારની બેદરકારીભરી તકલાદી કામગીરીનો વધુ એક પુરાવો વાઘોડીયા મેન રોડ ઉપર બહાર આવ્યો છે. પ્રભુનગર પાસે પાણીની લાઇન નાખીને જોડાણ કરવામા આવ્યુ છે. આ માટે લાઈન ઉપર વાલ્વ ફિટ કરવા મોટો ખાદો ખોદ્યો હતો. નીચે લાઈન ઉપર વાલ્વ ફિટ કર્યા બાદ પુરાણની કામગીરીમાં રીતસર વેઠ ઉતારવામાં આવી છે. ખાડામા માત્ર માટી નાખીને પુરાણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં કોઇ પણ જાતનુ મેટલીંગ કાર્ય કર્યા વિના ડામરનો માલ નાખીને ખાડો પૂરી દેવામાં આવ્યો છે. ડામરથી પુરાણ કરેલા ભાગ પરથી ભારદારી વાહનોની સતત અવરજવર ચાલુ રહેતા રોડ બેસવા માડ્યો છે, કદાચ આના કારણે નીચે ફીટ કરેલો વાલ્વ ભારે વાહનોની આવજાથી તુટી પણ જાય તો નવાઈ નહીં. પાણી પુરવઠા વિભાગ આવી અગત્યની કામગીરી કરવાની હોય સાઇટ ઉપર કેમ કોઈ જવાબદાર અધિકારીઓ હાજર નથી રહેતા એવો સવાલ વિસ્તારના રહીશો ઉઠાવી રહ્યા.