પાલક પુત્રની પત્નીની હત્યા કરનાર આરોપી સાવકા પિતાને આજીવન કેદ
પાલકપુત્ર સાથે ડીવોર્સ લેનાર પુત્રવધુ કોરોના લોકડાઉનના લીધે સાથે જ રહેતી હોય પાલક સસરાએ ચપ્પુ વડે હત્યા કરી હતી
આરોપીએ પોતાના મિત્રોને ફોન પર ગુનાની કબુલાત કરતા વોઈસ સ્પેક્ટ્રોગ્રાફીનો રિપોર્ટ મહત્વનો સાબિત થયો
સુરત
આરોપીએ પોતાના મિત્રોને ફોન પર ગુનાની કબુલાત કરતા વોઈસ સ્પેક્ટ્રોગ્રાફીનો રિપોર્ટ મહત્વનો સાબિત થયો
ચારેક
વર્ષ પહેલાં ઉધના ભીમનગર એસએમસી આવાસમાં રહેતા પોતાના સાવકા પુત્ર સાથે ડીવોર્સ
લેનાર પુત્રવધુની ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી હત્યા કરનાર આરોપી પાલક પિતાને આજે
એડીશ્નલ સેશન્સ જજ એચ.એમ.વ્યાસે હત્યાના ગુનામાં દોષી ઠેરવી આજીવન કેદ,રૃ.10 હજાર દંડ ન ભરે તો વધુ બે વર્ષની સાદી કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.
મૂળ મહારાષ્ટ્ર ધુલિયા જિલ્લાના વતની ફરિયાદી મયુર સુરેશભાઈ મોરે (રે.ભીમનગર ઉધના એસએમસી આવાસ )એ ગઈ તા.18-6-20ના રોજ પોતાની પત્ની નેહાએ ડીવોર્સ લેવા છતાં કોરાના લોકડાઉનમાં સાથે જ રહેતી હતી.પરંતુ છાશવારે ઝઘડો કરીને પોતાના પુત્રને પણ સાથે લઈ જશે તેવું જણાવીને ફરિયાદી સાથે તકરાર કરતી હતી.જેથી ફરિયાદીના પાલક પિતા એવા 37 વર્ષીય આરોપી મેહુલ બદરુભાઈ લાખાણીએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કરીને સાવકા પુત્રની પુત્રવધુ નેહાની હત્યા કરી નાસી ગયો હતો.જે અંગે આરોપી મેહુલ લાખાણીએ પોતાના મિત્રોને ગુનો આચર્યાની મોબાઈલ ફોન પર વાત કરી હતી.જેથી ફરિયાદી મયુર મોરેએ પોતાની ડીવોર્સી પત્ની નેહાની હત્યા કરવા બદલ આરોપી સાવકા પિતા મેહુલ લાખાણી વિરુધ્ધ ઉધના પોલીસમાં ઈપીકો-302 તથા બી.પી.એક્ટ-135ની ફરિયાદ નોંધાવી હતી.
ચારેક વર્ષ જુના હત્યા કેસની ન્યાયિક કાર્યવાહી દરમિયાન આરોપીના બચાવપક્ષે એવો બચાવ લીધો હતો કે હતું કે ફરિયાદપક્ષ આરોપીએ પોતાના મિત્રોને ગુનાની કબૂલાત કરેલા ફોન સંબંધે વોઈસ સ્પેક્ટ્રોગ્રાફીના રિપોર્ટ પર આધાર રાખે છે.પરંતુ તે સાક્ષીઓએ ફરિયાદપક્ષના કેસને સમર્થન ન આપતા હોસ્ટાઈલ જાહેર થયા છે.બનાવના દિવસે આરોપી પોતાની પત્ની,ફરિયાદી તથા તેના પુત્ર સાથે નવસારી હોઈ બનાવ સમયે અને સ્થળ પર હાજર નથી.જેથી આરોપીને ખોટી સંડોવણી કરી હોઈ નિર્દોષ છોડવા માંગ કરી હતી.
જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી વિશાલ ફળદુએ કુલ 23 સાક્ષી તથા 20 દસ્તાવેજી પુરાવા રજુ કરીને જણાવ્યું હતું કે આરોપી તથા મરણ જનાર છેલ્લે સાથે હોવાનો પુરાવો તપાસ અધિકારીએ સોગંદ પર જણાવ્યું છે.આરોપીને અટક કર્યા ત્યારે મોબાઈલ તથા ગુનાના ઉપયોગમાં લીધેલા ચપ્પુ,લોહીવાળા કપડા કબજે કરવામાં આવ્યા છે.જે બંને પર મરણ જનાર નેહાબેનના લોહી મળી આવ્યું છે.આરોપીએ ગુના અગે પોતાના મિત્રને ફોન પર કરેલી વાતચીત અંગે આરોપીનો વોઈસ સ્પેકટ્રોગ્રાફીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જે અંગે તજજ્ઞા નિષ્પક્ષ સ્વંતંત્ર સાક્ષીનો પુરાવો આવ્યો છે. સ્વતંત્ર અને સાંયોગિક પુરાવાને કોર્ટે માન્ય રાખી આરોપી મેહુલ લાખાણીને હત્યાના ગુનામાં દોષી ઠેરવી આજીવન કેદ તથા દંડની સજા ફટકારતો હુકમ કર્યો છે.