Get The App

સગીરાનું અપહરણ કરીને બળાત્કાર ગુજારનાર આરોપીને ૨૦ વર્ષની કેદ

Updated: Dec 27th, 2024


Google NewsGoogle News
સગીરાનું અપહરણ કરીને બળાત્કાર ગુજારનાર આરોપીને ૨૦ વર્ષની કેદ 1 - image


દોઢ વર્ષ અગાઉ પેથાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં

૧૪ હજાર રૃપિયા દંડ ભરવા પણ હુકમ :  સગીરાને ચાર લાખ રૃપિયાનું વળતર ચૂકવવા કોર્ટે આદેશ કર્યો

ગાંધીનગર :  પેથાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દોઢ વર્ષ અગાઉ સગીરાને લાલચ આપીને બાઈક ઉપર બેસાડી વડોદરા ખાતે લઈ જઈ બળાત્કાર ગુજરનાર આરોપી સામે ગુનો દાખલ થયા બાદ કેસ ગાંધીનગર બીજા એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીને ૨૦ વર્ષની સખત કેદ ફટકારવામાં આવી છે.

આ કેસની મળતી વિગતો પ્રમાણે પેથાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી સગીરાને ૮ જુન ૨૦૨૩ ના રોજ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વડાલી ગામમાં રહેતો યુવાન મહેન્દ્રજી ઉર્ફે પકો દશરથજી ચંદુજી ઠાકોર લલચાવી ફોસલાવીને ઉનાવા ગામ ખાતેથી બાઈક ઉપર બેસાડીને અપહરણ કરીને લઈ ગયો હતો ત્યારબાદ તેણીને વડોદરા અને વડાવી ખાતે લઈ જઈ તેની સાથે શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજારે હતો જે સંદર્ભે સગીરાના પિતા દ્વારા પેથાપુર પોલીસ મથકમાં આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસ ગાંધીનગરના બીજા એડિશનલ સેશન્સ જજશ્રી એસ.ડી મહેતાની કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ સુનિલ.એસ પંડયા દ્વારા ભોગ બનનાર અને સાહેદોની જુબાની લેવામાં આવી હતી અને દલીલ કરવામાં આવી હતી કે, આરોપીએ ગંભીર પ્રકારનો ગુનો આચર્યો છે. આવા કેસમાં સખતમાં સખત સજા થવી જોઈએ. સમાજમાં દાખલો બેસે તે પ્રકારે અને આવા ગુનાઓ બનતા અટકે તે માટે આરોપીને કાયદામાં દર્શાવેલી સજા કરવી જોઈએ. જેના પગલે કોર્ટ દ્વારા આ ગુનાના આરોપી મહેન્દ્રજી ઉર્ફે પકો દશરથજી ચંદુજી ઠાકોરને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી તેમજ ૧૪ હજાર રૃપિયા દંડ ભરવા પણ હુકમ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભોગ બનનારને ચાર લાખ રૃપિયા વળતર આપવા પણ આદેશ કરવામાં આવ્યો હતો.


Google NewsGoogle News