સગીરાનું અપહરણ કરીને બળાત્કાર ગુજારનાર આરોપીને ૨૦ વર્ષની કેદ
ત્રણ વર્ષ અગાઉ સેક્ટર-૭ પોલીસ સ્ટેશન વિસ્તારમાં
૧૪ હજાર રૃપિયા દંડ ભરવા પણ હુકમ ઃ સગીરાને ચાર લાખ રૃપિયાનું વળતર ચૂકવવા આદેશ કરાયો
ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર ૭ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ વર્ષ અગાઉ સગીરાને લગ્નની લાલચ આપીને અપહરણ કરી સુરત ખાતે લઈ જઈ બળાત્કાર ગુજરનાર આરોપી સામે ગુનો દાખલ થયા બાદ કેસ ગાંધીનગર બીજા એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીને ૨૦ વર્ષની સખત કેદ ફટકારવામાં આવી છે.
ત્રણ વર્ષ અગાઉ
ગાંધીનગરના સેક્ટર ૭ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી સગીરાને આરોપી મહેશ મનુભાઈ
માછી (રહે, સાદરા
ટીંબાના મુવાડા જિલ્લો પંચમહાલ) દ્વારા પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરવાની લાલચ આપી
તેનું અપહરણ કરીને સુરત ખાતે લઈ જવામાં આવી હતી. જ્યાં તેની સાથે અવારનવાર શરીર
સંબંધ બાંધવામાં આવ્યો હતો. જે સંદર્ભે સગીરાના પિતા દ્વારા સેક્ટર ૭ પોલીસ મથકમાં
આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસ ગાંધીનગરના બીજા એડિશનલ સેશન્સ જજ
એસ.ડી મહેતાની કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ દ્વારા ભોગ બનનાર અને સાહેદોની જુબાની લેવામાં
આવી હતી અને દલીલ કરવામાં આવી હતી કે,
આરોપીએ ગંભીર પ્રકારનો ગુનો આચર્યો છે. આવા કેસમાં સખતમાં સખત સજા થવી જોઈએ.
સમાજમાં દાખલો બેસે તે પ્રકારે અને આવા ગુનાઓ બનતા અટકે તે માટે આરોપીને કાયદામાં
દર્શાવેલી સજા કરવી જોઈએ. જેના પગલે કોર્ટ દ્વારા આ ગુનાના આરોપી મહેશ મનુભાઈ
માછીને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી તેમજ ૧૪ હજાર રૃપિયા દંડ ભરવા
પણ હુકમ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભોગ
બનનારને ચાર લાખ રૃપિયા વળતર આપવા પણ આદેશ કરવામાં આવ્યો હતો.