જામનગરમાં શાંતિવન સોસાયટી વિસ્તારમાં પ્રોવિઝન સ્ટોર માં અકસ્માતે શોર્ટ સર્કિટથી આગ
ફાયર બ્રિગેડની ટુકડી એ ઘટના સ્થળે દોડી જઈ આગને બુજાવી: અનાજ કરીયાણાંની ચીજ વસ્તુઓ બળીને ખાખ
જામનગર, તા. 30 સપ્ટેમ્બર 2023 શનિવાર
જામનગરમાં લાલવાડી નજીક શાંતિવન સોસાયટીમાં આવેલા એક પ્રોવિઝન સ્ટોરમાં અકસ્માતે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને દુકાનની અંદર રહેલી અનાજ કરિયાણા સહિતની સામગ્રી સળગી ઉઠી હતી. ફાયર બ્રિગેડની ટુકડીએ દોડી જઈ આગને બુઝાવી હતી.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં લાલવાડી વિસ્તારમાં શાંતિવન સોસાયટીમાં ત્રિમંદિરની સામે આવેલા પંચામૃત પ્રિવિઝન સ્ટોરમાં શનિવારે બપોરે પોણા બે વાગ્યાના અરસામાં અકસ્માતે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. આ આગ ના બનાવ અંગે દુકાનના માલિક જય એમ. પુનાતર દ્વારા ફાયર શાખાને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીના એક ટેન્કર વડે આગને બુજાવી હતી.
જે દરમિયાન દુકાનની અંદર રાખેલો અનાજ કરિયાણા પ્રોવિઝન ની ચીજ વસ્તુઓનો જથ્થો સળગી ઉઠ્યો હતો, અને ભારે નુકસાન થયું છે.