સુરેન્દ્રનગરના લખતર-વિરમગામ હાઈવે ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત
Road Accident In Surendranagar: ગુજરાતમાં દિવસેને દિવસે રોડ અકસ્માત અને હિટ એન્ડ રનની ઘટનાઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે (21મી જૂન) સુરેન્દ્રનગરના લખતર-વિરમગામ હાઈવે પર વિઠ્ઠલગઢ નજીક ટ્રક ચાલકે બાઈકને ભીષણ ટક્કર મારી હતી. જેમાં બાઈક સવાર ત્રણ યુવકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા.
અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર
સુરેન્દ્રનગર લખતર વિરમગામ હાઈવે પર વિઠ્ઠલગઢ નજીક પુરઝડપે જઈ રહેલા ટ્રકે બાઈકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક પર જઈ રહેલા ત્રણ યુવકોના ઘટનાસ્થલે જ કરૂણ મોત નીપજ્યા હતા. ટ્રક ચાલક બાઈક પર ટ્રેક ચલાવી ફરાર થઈ ગયો હતો. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક સમસ્યા રાબેતા મુજબ કરી હતી. પોલીસે ફરાર ટ્રક ચાલક સામે ગુનો નોંધીને તેની શોધ હાથ ધરી છે.
ગઈકાલે ત્રણ જુદા જુદા અકસ્માતમાં ચારના મોત
ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે (20 જૂન) સર્જાયેલા ત્રણ જુદા જુદા અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. ગોંડલના ઘોઘાવદર ગામ નજીક બે કાર સામ-સામે અથડાઈ હતી. આ ઘટનામાં એક મહિલા સહિત બે લોકોના મોત નીપજ્યાં છે અને પાંચ લોકોને ઇજા પહોંચી છે. જામનગરમાં રીક્ષા અને બાઈક વચ્ચેના અકસ્માતમાં એક યુવકનું મૃત્યુ નીપજ્યું છે. બીજી તરફ સુરેન્દ્રનગરના મુળી ગઢાદ રોડ ઉપર ઈકો અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.