Get The App

બનાસકાંઠાના વાવની પેટા ચૂંટણીમાં જામશે ત્રિપાંખિયો જંગ, કોંગ્રેસ સાથે છેડો ફાડી AAP એકલા હાથે લડશે ચૂંટણી

Updated: Oct 16th, 2024


Google NewsGoogle News
બનાસકાંઠાના વાવની પેટા ચૂંટણીમાં જામશે ત્રિપાંખિયો જંગ, કોંગ્રેસ સાથે છેડો ફાડી AAP એકલા હાથે લડશે ચૂંટણી 1 - image


Vav Assembly Bye Election : ગુજરાતમાં આગામી મહિને 13 નવેમ્બર 2024ના રોજ વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે. ત્યારે આ પેટાચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રચાર-પ્રસાર અને ઉમેદવાર પસંદગીની તૈયારી શરૂ કરી દીધી છે. આ વખતે વાવ બેઠક પર માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ખરાખરીનો જંગ નથી, પરંતુ આમ આદમી પાર્ટી પણ આ બેઠક પર ચૂંટણી લડવાની તૈયારીમાં છે. જેને લઈને હવે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચેનું ગઠબંધન તૂટશે અને વાવ વિધાનસભા બેઠક પર ત્રિપાંખિયો જંગ જામશે તેવી શક્યતાઓ છે.

અમે એકલા હાથે વાવ વિધાનસભા ચૂંટણી લડીશું : આપ નેતા

બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભા બેઠક પર ત્રિપાંખિયો જંગ થવાની પૂર્ણ શક્યતા છે. કારણ કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અહીં પોતાના ઉમેદવારો ઉતારવાની તૈયારી કરી રહી છે. વાવ બેઠક પર દર વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય ચૂંટણી જંગ હોય છે. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી પણ ઉમેદવાર ઉતારશે. ડૉ. રમેશ પટેલને AAP વાવ વિધાનસભા બેઠક પર પોતાના ઉમેદવાર બનાવે તેવી ચર્ચા છે. આપના પ્રદેશ નેતાએ કોંગ્રેસ સાથે ગઠબંધનને લઈને મહત્ત્વપૂર્ણ વાત કરી છે. આપ નેતાએ જણાવ્યું છે કે, 'લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે અમારું સંપૂર્ણ સમર્થન હતું. પરંતુ લોકસભા ચૂંટણી એ અલગ મુદ્દો અને કારણ હતું. તે સમયે ભાજપ અને નરેન્દ્ર મોદી સામે એક થઈને લડવાની જરૂર હતી. દેશનો સવાલ હતો, લોકશાહી અને બંધારણ બચાવવાનો સવાલ હતો એટલે ચોક્કસપણે અમે કોંગ્રેસ સાથે હતા. જોકે, હવે રાજ્યની વાત આવતી હોય ત્યારે દરેક પાર્ટીની પોતાની રણનીતિ હોય છે. આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી છે. આ પેટાચૂંટણીમાં ગઠબંધનની વાત નથી. અમે એકલા હાથે વાવ વિધાનસભા ચૂંટણી લડવા માટે તૈયાર છીએ.

આ પણ વાંચો : ગેનીબેનની વાવ વિધાનસભા બેઠક : કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો સવાલ, ભાજપ માટે અસ્તિત્વનો જંગ

ભાજપે વાવ બેઠક માટે પ્રભારી અને નિરીક્ષકોની કરી નિમણૂક

ભાજપ દ્વારા વાવ બેઠક માટે ત્રણ નિરીક્ષક અને પ્રભારીની નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને મહેમદાવાદ વિધાનસભાના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણને આગામી વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિધાનસભાના પ્રભારી તરીકે નિમણૂક કરાઈ છે. જ્યારે વાવ બેઠક માટે 3 નિરીક્ષકની નિમણૂક કરાઈ છે. જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે જનક પટેલ (બગદાણા), અસારવા ધારાસભ્ય દર્શના વાઘેલા અને પ્રદેશ પ્રવકતા યમલ વ્યાસને પણ જવાબદારી સોંપવામાં આવી છે. આવતીકાલે સવારે 11 વાગે સેન્સ પ્રક્રિયા હાથ ધરશે. ઉમેદવાર પસંદગી માટે નિરીક્ષક સેન્સ પ્રક્રિયા કરશે.

કોંગ્રેસ-ભાજપના સંભવિત ઉમેદવારના નામ

વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના કેટલાક સંભવિત ઉમેદવારોના નામની ચર્ચા થઈ રહી છે. જેમાં કે.પી.ગઢવી, ગુલાબસિંહ રાજપૂત, ઠાકરશીભાઈ રબારી, માવજી પટેલ સહિતના નેતાઓ રેસમાં છે. આમ તો આ ત્રણેય ઉમેદવારો અલગ અલગ સમાજના છે, પરંતુ ગેનીબેનની જીત બાદ કોંગ્રેસ જાતિગત સમીકરણોને બાજુએ મૂકીને ગેનીબેનના જોરે ચૂંટણી લડી શકે છે. તો ભાજપમાંથી વાવ બેઠક પર મુકેશ ઠાકોર, શૈલેષ ચૌધરી, સ્વરૂપજી ઠાકોર, કરશનજી ઠાકોર, લાલજી પેટલ, રજની પેટલ અને ગજેન્દ્રસિંહ રાણાના નામની ચર્ચા છે.

વાવ બેઠક પર પેટાચૂંટણી જાહેર

લોકસભા ચૂંટણી 2024માં રાજ્યમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું હતું. જેમાં 26માંથી બે બેઠક ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટી લડી હતી, જ્યારે બાકીની તમામ 24 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા હતા. જોકે સુરત બેઠક બિનહરીફ થતા કોંગ્રેસે 23 બેઠકો પર ચૂંટણી લડી હતી. લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર વાવના ધારાસભ્ય રહેલા ગેનીબેન ઠાકોરની જીત થઈ હતી. ગુજરાતની 26 બેઠકોમાંથી એક બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી, જે બનાસકાંઠા બેઠક છે. ત્યારે હવે ગેનીબેન ઠાકોરની ખાલી પડેલી વિધાનસભા બેઠક પર ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. 13 નવેમ્બર 2024ના રોજ મતદાન યોજાશે અને 23 નવેમ્બરે મતગણતરી યોજાશે. જ્યારે ઉમેદવારી નોંધાવવાની તારીખ 18 ઓક્ટોબર, ઉમેદવારી માટેની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર, ઉમેદવારી ચકાસણીની તારીખ 28 ઓક્ટોબર છે. જ્યારે ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર છે. ચૂંટણી વિભાગની જાહેરાત બાદ હવે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. 

આ પણ વાંચો : ગુજરાત સરકારે જાહેરનામું બહાર પાડતા દિવાળી પહેલા સુરતના ગેમઝોન શરૂ થવાની સંભાવના

પેટાચૂંટણી જાહેર થતાં જ ગેનીબેને આપી હતી પ્રતિક્રિયા

પેટાચૂંટણીની જાહેરાત થતાની સાથે જ સાંસદ ગેનીબેન ઠાકોરે પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, 'કોંગ્રેસ કાર્યકરો અને મોવડી મંડળ વાવ બેઠકની પેટા ચૂંટણી જીતવા માટે કામે લાગશે અને કોંગ્રેસના તમામ કાર્યકરો એક ટીમ તરીકે કામ કરશે. વર્ષ 2017, 2022 અને 2024ની લોકસભા ચૂંટણીમાં અઢારે આલમના લોકોએ કોંગ્રેસને આશીર્વાદ આપ્યા છે. ત્યારે ફરી એકવાર દરેક સમાજના લોકો કોંગ્રેસને આશીર્વાદ આપશે અને વાવ બેઠક જીતવા માટે કોંગ્રેસ કામે લાગશે.'

વાવ બેઠક પર કોનું પ્રભુત્વ?

જો વાવ બેઠકની વાત કરવામાં આવે તો અહીં ઠાકોર સમાજનું પ્રભુત્વ અને જાતિવાદી ગણિત કામ કરી જાય છે. આ પેટાચૂંટણીમાં પણ આ જાતિવાદી ગણિતનું રાજકારણ થાય તેવી સંભાવના છે. જોકે બીજી તરફ, ભાજપ દ્વારા પણ આ કોંગ્રેસને હરાવી વાવ બેઠક કબજે કરવા માટે બને તેટલું જોર લગાવવામાં આવશે તે નક્કી છે. બીજી તરફ, આ પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન નહીં હોય તો આ બેઠક પર રસાકસી રહેશે એ ફાઈનલ છે.



Google NewsGoogle News