ચોટીલા પાસે હાઈવે પર ટ્રકની અડફેટે બાઈક ચાલક યુવકનું મોત
- ચોટીલાના મફતિયાપરાનો હોવાનું ખૂલ્યું
- અમદાવાદ- રાજકોટ હાઈવે પર બેફામ દોડતા ટ્રક અને ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહીની માંગ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં અકસ્માતના બનાવો વધી રહ્યાં છે ત્યારે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ચોટીલા પાસે ટ્રકની અડફેટે બાઈકચાલક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે ટ્રકચાલક અકસ્માત સર્જી નાસી છુટયો હતો.
રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ચોટીલા પાસે હાઈવે પર હરિધામના ગેઈટ પાસે પુરપાટ ઝડપે અને બેફામ જઈ રહેલા ટ્રકના ચાલકે બાઈક પર જઈ રહેલ યુવકને અડફેટે લેતા યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જે બનાવની જાણ થતાં પોલીસ કાફલો તેમજ લોકોના ટોળેટોળાં ઉમટી પડયા હતા તેમજ ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. જ્યારે અકસ્માત બાદ ટ્રકચાલક નાસી છુટયો હતો. જ્યારે પ્રાથમિક તપાસમાં મૃતક યુવક ચોટીલાના મફતીયાપરા વિસ્તારમાં રહેતો અને ગૌતમ ધરમશીભાઈ શિહોરા હોવાનું બહાર આવ્યું હતું. યુવકના મોતથી પરિવારજનો પર આભ તુટી પડયું હતું જે મામલે પોલીસે વધુ તપાસ હાથધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચોટીલા નેશનલ હાઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યાં છે તેમજ બેફામ દોડતા ટ્રક અને ડમ્પરને કારણે અનેક લોકોના જીવ ગુમાવ્યા છે ત્યારે વધુ એક યુવકનું ટ્રકની અડફેટે મોત નીપજતા લોકોમાં બેફામ દોડતા વાહનચાલકો સામે રોષ જોવા મળ્યો છે.