નર્મદ યુનિવર્સિટીના ભવનોના રિપેરીંગ માટે એક જ ટેન્ડર આવ્યું અને મંજુર !

કેમ્પસના ભવનોની સ્ટેબીલીટી અંગે તપાસ વચ્ચે

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
નર્મદ યુનિવર્સિટીના ભવનોના રિપેરીંગ માટે એક જ ટેન્ડર આવ્યું અને મંજુર ! 1 - image


- પ્રથમ પ્રયાસમાં બે એજન્સીના ટેન્ડર ખોલાયા જ નહી, રિટેન્ડરીંગમાં એક જ એજન્સી બી.એસ.કન્ટ્રકશને ભર્યું અને વર્કઓર્ડર આપી દેવાયા

        સુરત

નર્મદ યુનિવર્સિટીના સતાધીશોની બે બાજુની વાતો બહાર આવી છે. એકબાજુ કેમ્પસના તમામ ભવનો ખખડધજ છે કે નહીં ? તેની ચકાસણી શરૃ કરી છે. અને બીજી બાજુ જે ભવનો રીપેરીંગ કે રીનોવેશન કરવા માટે જે ટેન્ડરો બહાર પાડયા છે. તે ટેન્ડરો નહીં ખોલવાનો નિર્ણય લઇને બીજી વાર ટેન્ડરીંગ કરીને એક જ એજન્સી બી.એસ. કન્સ્ટ્રકશન આવી હોવાછતા તેનું ટેન્ડર મંજુર કરતા રીપેરીંગને લઇને સેનેટ સભ્યોએ સવાલો ઉઠાવ્યા છે.

નર્મદ યુનિવર્સિટીમાં ઓનલાઇન ઉતરવહી મૂલ્યાંકન માટે વગર ટેન્ડરે પુણાની વિશાઇન પ્રા.લિને કોન્ટ્રાક આપ્યાનો વિવાદ હજુ શમ્યો નથી. ત્યાં તો બીજા ટેન્ડરનો વિવાદ ઉઠયો છે. આ અંગે સેનેટ સભ્ય ભાવેશ રબારીએ કુલપતિને ફરિયાદ કરીને આક્ષેપો કર્યા છે કે નર્મદ યુનિવર્સિટી કેમ્પસ તથા  જુદા જુદા ભવનોમાં રીપેંરીગ, રીનોવેશન, મેન્ટેન્નસમાં લાખો રૃપિયાના કામ માટે વર્ષોથી ટેન્ડરીંગ કરવામાં આવે છે.  આ વર્ષે પણ ટેન્ડર પ્રકિયા બહાર પાડીને સ્પર્ધામાં બે લાયક એજન્સીઓ હોવાછતા યુનિવર્સિટીએ કોઇ પણ જાતના કારણો દર્શાવ્યા વગર આ બન્ને એજન્સીઓના ટેન્ડરો નહીં ખોલવાનો નિર્ણય લીધો હતો. અને આ જ કામ માટે ફરીથી ટેન્ડર મંગાવ્યુ હતુ. જેમાં બી.એસ કન્સ્ટ્રકશન નામની એક જ એજન્સી દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યુ હતુ. અને નિયમ મુજબ એક જ ટેન્ડર હોવાથી રી-ઇન્વાઇટ ટેન્ડરીંગ કરવુ પડે. પરંતુ યુનિવર્સિટી દ્વારા સરકાર તથા યુનિવર્સિટીના નિયમો વિરુદ્ર આ એક જ એજન્સીનું ટેન્ડર છતા મંજુર કરીને તાત્કાલીક ધોરણે અલગ અલગ વિભાગો અને કેમ્પસના મરામત અને રીનોવેશન માટે ૪૦ થી ૫૦ જેટલા વર્ક ઓર્ડર પણ આપી દેવાયા છે. અને આ કામની ગુણવતા, સુપરવિઝન કે સમય મર્યાદામાં કામ થયેલ છે કે કેમ તેની દેખરેખ રાખ્યા વગર લાખો રૃપિયાના બીલો પણ ચૂકવી દેવાયા છે.

આમ યુનિવર્સિટી એકબાજુ કેમ્પસના ખખડધજ ભવનો અંગે તપાસ કરાવે છે. અને પાછુ રીપેરીંગ કે રીનોવેશન માટે જે ટેન્ડરો આવ્યા હતા. તેમાં રીટેન્ડરીંગ કરાવીને એક જ એજન્સીનુ આવ્યુ હોવાછતા આપી દેવાતા સેનેટ સભ્ય ભાવેશ રબારીએ આક્ષેપો કર્યા છે કે એક જ એજન્સી હોવાથી કામગીરીને લઇને પ્રશ્નો ઉઠી શકે છે.આ એજન્સી કેવુ રીપેંરીગ કરશે તે એક પ્રશ્ન છે ?

કોમન એકટ લાગુ કરાયો હોવાથી લોલંલોમ અટકાવવા ટેન્ડરની પ્રક્રિયા પણ સરકાર હસ્તક લઇ લેવી જોઇએ

રાજય સરકારે કોમન એકટ લાગુ કર્યો છે અને આ એકટની સાથે જ નર્મદ યુનિવર્સિટીમાં જે ટેન્ડરોના વિવાદો થઇ રહ્યા છે તે ટેન્ડરોને લઇને હવે સરકારે જ યુનિવર્સિટીના બાંધકામ અને અન્ય મોટા કામોની ટેન્ડરીંગની પ્રક્રિયા કરવી જોઇએ. જેથી યુનિવર્સિટીઓમાં જે ટેન્ડર આપવાની લોલમલોલ ચાલે છે તે ઓછી થાય.

બાંધકામ સમિતિના નિર્ણયો લોકો માટે જાહેર કરવા જોઇએ

નર્મદ યુનિવર્સિટીમાં જે પણ બાંધકામો થાય છે. તેમાં ટેન્ડરથી લઇને મંજુરી સુધીની કામગીરી બાંધકામ સમિતિમાં થાય છે.  બાંધકામ સમિતિ  એક જ એજન્સીનુ ટેન્ડર આવ્યુ હોઇ અને મંજુર કેવી રીતે કરે  બાંધકામ સમિતિમાં જે પણ નિર્ણયો લેવાય  છે. તે નિર્ણયો જગજાહેર કરવા જોઇએ. જેથી  સામાન્ય લોકોને પણ ખ્યાલ આવે કે ટેન્ડરની પ્રક્રિયા કેવી રીતે ચાલી રહી છે.



Google NewsGoogle News