જામનગરમાં સાસુ અને વહુ વચ્ચે પડી તકરાર : વહુએ ઉશ્કેરાટમાં સાસુ પર ફડાકાવાળી કરી
Jamnagar : જામનગરમાં ગુલાબ નગર નજીક યોગેશ્વર નગર શેરી નંબર-3 માં રહેતા પરિવારમાં સાસુ-વહુ વચ્ચે તકરાર થઈ હતી, અને ઉશ્કેરાટમાં આવી જઈ વહુએ સાસુ ઉપર ફડાકાવાળી કરી દીધી હતી. ઉપરાંત તમામ સામે ફરિયાદ નોંધાવવાની પણ ધમકી આપી હતી, જેથી મામલો પોલીસ મથકે લઈ જવાયો છે, અને સાસુએ વહુ સામે ફરિયાદ નોંધાવી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગુલાબ નગર નજીક યોગેશ્વર નગર શેરી નંબર ત્રણમાં રહેતા ભારતીબેન ભરતભાઈ ધામેલીયા નામના 50 વર્ષના પ્રૌઢ મહિલાએ પોતાને ત્રણ ચાર ફડાકા ઝીંકી દેવા અંગે તેમજ સમગ્ર પરિવાર ઉપર કેસ કરવાની ધમકી આપવા અંગે પોતાની પુત્રવધુ ઋષિતા દિલીપભાઈ ધામેલીયા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ગઈકાલે સાસુ અને વહુ વચ્ચે ટીવી ચાલુ કરવા બાબતે ઝઘડો થયો હતો, અને વહુ ઉસ્કેરાઈ ગઈ હતી, અને સાસુ પર હુમલો કરી દીધો હતો. જે મામલે સીટી એ. ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે, અને વહુ સામે ગુનો નોધ્યો છે.