રાજકોટ નજીકના વડાળી ગામે પ્રેમી યુગલની સજોડે આત્મહત્યા

Updated: Jan 12th, 2024


Google NewsGoogle News
રાજકોટ નજીકના વડાળી ગામે પ્રેમી યુગલની સજોડે આત્મહત્યા 1 - image


બંનેએ એક જ દોરડા સાથે ગળાફાંસો ખાઈ લીધો બંનેના પરિવારના સભ્યો સંબંધથી અજાણ હતા, ખંઢેર જેવા મકાનમાં પગલું ભર્યું

રાજકોટ, : રાજકોટ નજીકના મહિકા ગામે રહેતાં પ્રેમી યુગલે રાજકોટ નજીકના વડાળી ગામે આવેલા એક મકાનમાં એક જ દોરડા વડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં બંનેના પરિવારના સભ્યોમાં કાળો કલ્પાંત મચી ગયો હતો. પોતાનો સંબંધ પરિવારજનો અને સમાજ નહીં સ્વીકારે તેમ લાગતાં આ પગલું ભરી લીધાનું અનુમાન પોલીસે દર્શાવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ મહિકા ગામના પાટીયા પાસે રાધીકા સોસાયટીમાં રહેતાં ગોપાલ મનસુખભાઈ મેર (ઉ.વ. 23) અને મહિકા ગામનાં પાટીયા પાસે સદ્દગુરૂ સોસાયટી શેરી નં.3માં રહેતી શિવાની શૈલેષભાઈ વાઢેર (ઉ.વ. 16)ના આજે બપોરે રાજકોટ નજીકના વડાળી ગામે આવેલા મકાનમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. 

જયાંથી બંનેના મૃતદેહો મળ્યા તે મકાન ગોપાલનું છે. તે મૂળ વડાળીનો વતની છે. છેલ્લા કેટલાક સમયથી મહિકા રહેતો હતો. મકાન હાલ ખંઢેર હાલતમાં છે. નળિયાવાળા આ મકાનમાં લાકડાની આડીમાં એક જ દોરડા સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં બંનેના મૃતદેહો મળી આવ્યા હતા. બાજુનાં મકાનમાં રહેતી મહિલાઓ અગાશી ઉપર ગઈ ત્યારે બે-ત્રણ નળીયા તૂટેલા હોવાથી અંદર કંઈક શંકાસ્પદ જોતાં ગામના સરપંચને જાણ કરી હતી. જેણે આવી તપાસ કરતા ગોપાલ અને શિવાની ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતા મળી આવ્યા હતા. તત્કાળ ૧૦૮ને જાણ કરતાં તેના તબીબોએ આવી બંનેને મૃત જાહેર કર્યા હતા.

જાણ થતાં આજી ડેમના પીએસઆઈ હિતેષ ગઢવી પણ સ્થળ પર પહોંચ્યા હતા. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ગઈકાલે સાંજે શિવાની તેના ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગઈ હતી. પરિવારજનોએ શોધખોળ કરી હતી. પરંતુ પત્તો મળ્યો ન હતો. આખરે આજે બપોરે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. બંનેના પરિવારજનો બંનેના સંબંધો વિષે અજાણ હોવાનું પણ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું કે ગોપાલના મોટાભાઈને તે કોઈની સાથે મોબાઈલ ઉપર સતત વાતચીત કરતો હોવાની જાણ માત્ર હતી. શિવાની મૂળ કેશોદના બાલા ગામની વતની છે. બંનેના પરિવારજનોને જાણ થતા આઘાતથી સ્તબ્ધ થઈ ગયા હતા. ગોપાલ બે ભાઈમાં નાનો હતો. હાલ મજૂરી કામ કરતો હતો. 


Google NewsGoogle News