ગુજરાત સરકારની પોલ ખુલી! ભાજપના નેતાની વાડીમાં જવા 3.80 કરોડના ખર્ચે બનાવે છે બ્રિજ!

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
bridge in valsad


The bridge is being built at a cost of 3.80 crores: ભાજ૫ની કહેવાતી વિકાસશીલ સરકારે વલસાડમાં ભાજપના એક નેતાને મોટો આર્થિક ફાયદો કરાવવા માટે જ્યાં જરૂર જ નથી તેવી નનકવાડા સિવિલ રોડેથી સીધો નેતાજીની વાડીમાંથી વશિયર સુધી આશરે રૂ. 3.80 કરોડના ખર્ચે વાંકી નદી નજીક પુલ બનાવવાનું શરૂ કરતા ચકચાર મચી છે. હાલ જે પુલ બની રહ્યો છે ત્યાંથી કોઈ અવર જવર જ નથી અને માત્ર અડધો કિલોમીટરના અંતરે જ વાંકી નદી પર પુલ છે જ. 

મોટા નેતાને ફાયદો કરાવવા માટે પુલ બનાવી રહ્યા હોવાની શક્યતા 

આ પુલ મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત બની રહ્યો છે. ભાજપના આ નેતાના સંબંધો અનેક મોટાં મંત્રીઓ અને નેતાઓ સાથે છે જેને લઈ આ વાડી કે અન્ય આજુબાજુની વાડીઓ કોઈ મંત્રી કે ભાજપનાં મોટા નેતાની પણ હોય તો પણ તેઓને ફાયદો કરાવવા માટે પુલ બનાવી રહ્યા હોય તેવી શક્યતા નકારી શકાતી નથી.

વાડીમાં જવા રૂ.3.80 કરોડના ખર્ચે નવો પુલ બનાવવાનું શરૂ

વલસાડના ધારાસભ્ય ભરત પટેલ પોતાના મળતિયા બિલ્ડરો હોય કે મોટી ટોપી હોય તેઓને ફાયદો કરાવવા માટે નવા ડામર રોડ કે ગટર લાઇન નાંખી આપી પોતાનું ધાર્યું કરી લેતાં હોવાનાં અનેક વખત આક્ષેપો અને ચર્ચાઓ થતી રહી છે. પણ આ વખતે કહેવાય છે કે ભાજપનાં માજી જિલ્લા પ્રમુખ અને દમણગંગા શુગર ફેકટરીના ચેરમેન હર્ષદ કટારીયા માટે સીધો તેમની વાડીમાં જવા રૂ.3.80 કરોડના ખર્ચે નવો પુલ બનાવવાનું શરૂ કર્યું છે. 

આ પણ વાંચો: ભાજપે આ દિગ્ગજ નેતાને કહી દીધું- ગુજરાતનો આ મોટો હોદ્દો તમે જાળવી રાખો, ડિસેમ્બર પછી વિચારીએ

અધૂરો કોસ્ટલ હાઈ-વે હજી સુધી બનાવવામાં આવ્યો નથી

આમ તો વલસાડ તાલુકામાંથી પસાર થતો કોસ્ટલ હાઈ-વે ભગોદ ગામ પછી બન્યો જ નથી જ્યારે આ કોસ્ટલ હાઈ-વેને નનકવાડા સિવિલ રોડથી આર.પી.એફ. મેદાન સુધી ડાઈવર્ટ કરી આ રસ્તા પર અનેક બિલ્ડરના ફાર્મ હાઉસ અને પ્રોજેક્ટને ફાયદો કરાવ્યો હોવાનાં આક્ષેપો બાદ પણ અધૂરો કોસ્ટલ હાઈ-વે હજી સુધી બનાવવામાં આવ્યો નથી, જે શંકાસ્પદ બાબત છે. 

વાંકી નદી ઉપર પુલ બનાવવાની કામગીરી વિવાદમાં આવી 

લીલાપોરથી ભગોદ સુધીનો 13 કિમીનો કોસ્ટલ હાઈ-વે બનાવવાને બાકી છે ત્યારે વલસાડના નનકવાડા જતા સિવિલ રોડ ઉપર આવતા વાંકી નદી ઉપર પુલ બનાવવાની કામગીરી વિવાદમાં આવી છે. આ પુલ સીધો હર્ષદ કટારીયાની સર્વે નં.276 વાળી જમીન (વાડી)માં ઉતારવામાં આવશે. 

વાડી અને રેલવે ટ્રેકની બાજુમાં એક રસ્તો આવેલો છે, જે નજીકમાં જ જૂના પુલને જોડી રહ્યો છે. આમ નજીકમાં મોટો પુલ હોવા છતાં સાંકડો રસ્તો અને નહિવત વાહન વ્યવહાર છે તેવી જગ્યા પર પુલની કોઈ જરૂર ન હોવાં છતાં એક માત્ર ભાજપના નેતાને ફાયદો કરાવવા માટે નવો પુલ બનાવવામાં આવી રહ્યો હોવાની વ્યાપક ચર્ચા ઉઠી છે. 

આ પુલ મંજૂર કરતા પહેલા વલસાડ જિલ્લા પંચાયત માર્ગ- મકાન વિભાગના ઈજનેરોએ કોઈપણ પ્રકારને સર્વે કર્યો છે કે કેમ? આ રસ્તો અંદાજે 8 થી 10 ફૂટનો જ છે ત્યારે આ પુલ પ્રજાના કોઈ પણ જાતનાં લાભ કે સુવિધા માટે બનતો ન હોવાનું સ્પષ્ટ પણે નજરે ચઢી રહ્યું છે. 

આ પણ વાંચો: GPCB-AMCની મંજૂરી વગર અમદાવાદમાં ચાલતા 78 ઈન્ડસ્ટ્રીયલ એકમો સીલ કરવા આદેશ

મોગરાવાડી-છીપવાડના રેલવે ગરનાળાનો અને કૈલાસ રોડના જર્જરિત પુલનો પ્રશ્ન ભાજપને દેખાતો નથી

ભાજપની કહેવાતી વિકાસશીલ સરકાર ગરીબ મધ્યમ વર્ગની નહિ પરંતુ કરોડપતિઓની છે તે ફરી એકવાર સાબિત થઇ રહ્યું છે. મોગરાવાડી ગરનાળુ અને છીપવાડના રેલવે ગરનાળામાં વર્ષોથી ચોમાસામાં વરસાદી પાણીને ભરાવો થતાં 40 થી વધુ ગામોનાં હજારો લોકોને હાડમારી ભોગવવી પડે છે, તેમજ કૈલાસ રોડનો પુલ અત્યંત જર્જરિત અને જૂનો થઈ ગયેલો છે, વારંવાર ચોમાસા દરમિયાન પુલ બંધ કરી તેની મરામત કરી ચાલું કરવામાં આવે છે અને મોગરાવાડીનું ગરનાળુ 10 હજારથી વધુ લોકોને અસર કરે છે.

ગુજરાત સરકારની પોલ ખુલી! ભાજપના નેતાની વાડીમાં જવા 3.80 કરોડના ખર્ચે બનાવે છે બ્રિજ! 2 - image


Google NewsGoogle News