રેલવે ટ્રેક નજીક સિંહોની મૂવમેન્ટ પર નજર રાખવા 8 હાઈરાઇઝ ટાવર ઉભા કરાશે
Updated: Feb 7th, 2024
રેલવે અકસ્માતમાં ભોગ બનતા સિંહોને બચાવવા માટે વનવિભાગનો નિર્ણય : લીલીયાના ભોરિંગડાથી ઘાડલા સુધી 55 KMમાં જુદી-જુદી જગ્યાએ સીડીવાળા ટાવરો બનાવાશે, ચોવીસે'ય કલાક દૂરબીનથી નજર રખાશે
અમરેલી, : અમરેલી જિલ્લાના લીલીયાથી રાજુલાના પીપાવાવ પોર્ટ સુધી બિછાવેલી રેલવે લાઈન પર ચોવીસ કલાકમાં 30 માલગાડી અને 3 અન્ય ટ્રેનોનો ધમધમતો ટ્રાફિક રહે છે. આ રેલવે ટ્રેક પર અવારનવાર વનરાજો ટ્રેનની હડફેટે આવીને મોતને ભેટે છે. ગત જુલાઈથી જાન્યુઆરી સુધીમાં આવા બનેલા વિવિધ બનાવોમાં સાત સિંહોના મોત નીપજ્યા છે. આ બનાવોમાં નિયંત્રણ લાવવાના પ્રયાસ રૂપે લીલીયાથી ઘાડલા સુધી આઠ હાઈરાઇઝ વોચ ટાવર ગોઠવવાનું નકકી થયું છે.
લીલીયાથી રાજુલા અને પીપાવાવનો રેલવે ટ્રેક સાવજોનો મોતનો પયગામ સમો બની ગયો છે. અહી અવારનવાર રેલવે ટ્રેક પર સાવજો આવી જાય છે અને ટ્રેનની ટકકરથી વનરાજોના મોત નીપજે છે. વનવિભાગે આ બનાવો અટકાવવા માટે ફેન્સિંગની પણ વ્યવસ્થા કરી છે.આમ છતા આ બનાવો અટક્યા નથી ,સુરેન્દ્રનગર પીપાવાવ રેલવે ટ્રેક અને લીલીયા સાવરકુંડલા રાજુલા ટ્રેક પર દરરોજ ચોવીસ કલાકમાં ૩૦ માલગાડી અને ૩ અન્ય ટ્રેનોનો ધમધમતો ટ્રાફિક રહે છે. આ રેલવે ટ્રેક પર અવારનવાર વનરાજો ટ્રેનની હડફેટે આવીને મોતને ભેટે છે. બનાવો અટકાવવા માટે રેલવે ટ્રેક પાસે વનકર્મીઓને પણ તહેનાત કરવામાં આવે છેે. પણ બનાવો ઝીરો લેવલે આવી નથી ગયા . આ સમસ્યા અટકાવવા માટે વનવિભાગે વધુ એક પ્રયાસ કર્યો છે.જેમાં લીલીયાના ભોરિંગડાથી છેક સાવરકુંડલાના વીજપડીના ઘાડલા સુધીમાં આઠ જેટલા ઉંચા અને સાધનસજ્જ વોચ ટાવર બનાવવાનું નકકી કર્યુું છે. જેમાં ટાવર ઉપર એક વ્યકિત સર્વેલન્સ કરવા ઉપર બેસી જશે અને લાંબા અંતર સુધી જોઈ શકાય એવા દૂરબીનથી રેલવે ટ્રેક પર ધ્યાન રાખશે. જો કોઈ સિંહ ટ્રેક પર આવી જાય તો ફરજ પરના ટ્રેકર અને વનવિભાગને સતર્ક કરી સિંહને દુર કરી દેવામાં આવશે.
આ ઉપરાંત રેલવે ટ્રેક આસપાસ વીસ વીસ મીટર સુધી ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે જે વનવિભાગે જેસીબીથી દુર કરાવી દીધા છે. જેથી ટ્રેક સ્પષ્ટ દેખાઈ શકે. બીજુ એ પણ છે કે રેલવે ટ્રેક તરફ જવા હેબીચ્યુઅલ બનેલા સિહોને શોધી કાઢી એને નિયંત્રિત કરવાના પણ ઉપાયો વિચારાઈ રહ્યા છે.